અજમેર શરીફ દરગાહના પ્રમુખે કહ્યું, મુસ્લિમો કરે ગૌમાંસનો ત્યાગ
અજમેર શરીફના પ્રમુખનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવામાં આવી રહ્યાં છે.
ભાજપે ગૌહત્યા વિરુદ્ધ અભિયાન શરૂ કર્યા બાદ આખા દેશમાં ગૌહત્યા તથા ગૌમાંસ અંગે દલીલો, ચર્ચા-વિચારણા ચાલી રહી છે. એવામાં હવે અજમેર શરીફ દરગાહના પ્રમુખ જૈનુલ અબેદિન અલી ખાનનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. સોમવારે આ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, ગૌમાંસ ખાવા પર પ્રતિબંધ મુકાવો જોઇએ તથા સરકારે ગૌહત્યા વિરુદ્ધ કાયદો ઘડવો જોઇએ. વધુમાં તેમણે તમામ મુસ્લિમો ને ગૌમાંસ ન ખાવાની વિનંતી કરી છે.
તેમણે કહ્યું કે, હિંદુઓ ની લાગણીને ધ્યાનમાં રાખતાં મુસલમાનોએ ગૌમાંસ ખાવાનું છોડી દેવું જોઇએ. આ રાષ્ટ્રમાં જ્યારે ગૌહત્યા અને ગૌમાંસનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે અજમેર શરીફ દરગાહના પ્રમુખ તરફથી આવેલું આ નિવેદન ખૂબ મહત્વપૂર્ણ છે. અજમેર શરીફ દરગાહ ભારતની સૌથી પવિત્ર દરગાહોમાંની એક છે. ખ્વાજા મોઇનુદ્દીન હાસન ચિશ્તીની 805મી પુણ્યતિથિ નિમિત્તે તેમણે આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે, 'ખ્વાજા મોઇનુદ્દીન હાસન ચિશ્તીએ પોતાનું આખું જીવન લોકોને એ સમજાવવામાં વિતાવ્યું હતું કે, સમાજમાં હિંદુ અને મુસ્લિમ બંન્ને સમુદાયોએ હળીમળીને તથા શાંતિથી રહેવું જોઇએ. આપણે સૌએ પણ તેમની આ વાત અનુસરવી જોઇએ અને હિંદુઓની લાગણીને માન આપતાં ગૌમાંસનો ત્યાગ કરવો જોઇએ.'
અહીં વાંચો - આ જવાને બચાવ્યા હતા દલાઇ લામાના પ્રાણ, ફરી મળ્યા 58 વર્ષે
ગુજરાત સરકારે ઘડ્યો છે કાયદો
- 31 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં ગૌરક્ષા કાયદો પાસ કરવામાં આવ્યો છે, જેમાં ગૌહત્યા માટે દોષિત સાબિત થનારને ઉંમરકેદની સજાની જોગવાઇ કરવામાં આવી છે.
- ગૌમાંસની હેરફેરમાં સંડોવાયેલ કોઇ પણ વ્યક્તિ કે તેી સાથે સંબંધિત અન્ય કોઇ અપરાધમાં દોષિત સાબિત થતાં તે વ્યક્તિએ 1 લાખ રૂપિયાથી લઇને 5 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
ગુજરાતમાં ઘડાયેલા આ કાયદા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, ગૌહત્યામાં સંડોવાયેલા લોકો પર રોક લગાવવા માટે આ યોગ્ય નિર્ણય છે. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે, ગાયને દેશનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવે. સાથે જ ટ્રિપલ તલાક અંગે બોલતાં તેમણે કહ્યું કે, આ રિવાજ અટકવો જ જોઇએ. કુરાનમાં ટ્રિપલ તલાક માટે અનુમતિ આપવામાં આવી નથી, આ અમાનવીય તથા જાતીય સમાનતાની વિરુદ્ધ છે.
યુપીમાં ગેરકાયદેસર કતલખાનાઓ વિરુદ્ધ કાર્યવાહી
ગૌહત્યા અંગે દરેક રાજ્યના નિયમો અલગ છે. સરકાર સતત ગૌરક્ષા માટે પગલા લઇ રહી છે. યુપીમાં યોગી આદિત્યનાથની આગેવાનીમાં ભાજપની સરકાર બન્યા બાદ ગેરકાયદેસર કતલખાના પર કાર્યવાહી થઇ છે તથા તે કતલખાનાઓ સીલ કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢમાં પણ ગેરકાયદેસર કતલખાના પર કાર્યવાહી થઇ રહી છે.