મુઝફ્ફરનગર રમખાણો : કોર્ટે 6 નેતાઓ સામે વૉરન્ટ કાઢ્યા
લખનૌ, 18 સપ્ટેમ્બર : ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ફાટી નીકળેલા રમખાણો દરમિયાન થયેલી હિંસાના કેસમાં એક સ્થાનિક અદાલતે કુલ 16 લોકો સામે વૉરન્ટ જાહેર કર્યા છે. આ 16 લોકો પૈકી હિંસા ભડકાવવાના આરોપમાં ઉત્તર પ્રદેશના 6 નેતાઓ સામે વૉરન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જે નેતાઓ સામે વૉરન્ટ જાહેર કરાયા છે તેમાં ભાજપ અને બસપાના નેતાઓનો સમાવેશ થાય છે.
આ અંગે પોલીસે જણાવ્યું કે બસપાના સાંસદ કાદિર રાણા, ભાજપના ધારાસભ્યો સંગીત સોમ અને ભારતેંદુ સિંગ, બસપાના ધારાસભ્યો નૂર સલીમ, મૌલાના જમીલ, કોંગ્રેસના નેતા સઇદુજ્જમાં અને ભારતીય કિસાન યુનીયનના પ્રમુખ નરેશ ટીકેટ સહિત 16 રાજકીય અને સામાજિક નેતાઓ વિરુદ્ધ વૉરન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ મુદ્દે વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રવીણ કુમારે જણાવ્યું કે આ તમામ સામે બે દિવસની અંદર કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે જણાવ્યું કે આ લોકો આજ્ઞાના ઉલ્લંઘન અને જિલ્લામાં વિવિધ બેઠકો (મહાપંચાયતો)માં ભડકાઉ ભાષણો આપીને સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના કેસમાં વૉન્ટેડ છે. આ તમામ લોકો પર ભડકાઉ ભાષણ આપીને હિંસા માટે લોકોને ભડકાવવાનો આરોપ છે. આ હિંસામાં 47 લોકોના મોત થયા હતા.