નારાયણ રાણે કોંગ્રેસથી નારાજ, રાજીનામાની અફવા
મુંબઇ, 3 જૂન : મહારાષ્ટ્રના રાજકારણમાં આજે બેવડા ઝાટકા વાગવાની સ્થિતિ છે. એક તો મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. બીજી તરફ એવી અફવાઓએ જોર પકડ્યું છે કે રાજ્યના ઉદ્યોગ મંત્રી નારાયણ રાણે કોંગ્રેસને છોડી રહ્યા છે.
માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણી 2014માં તેઓ પોતાના દીકરા નીલેશ રાણેની હારથી ઘણા નિરાશ છે. રાજ્યમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ તેઓ કેબિનેટની બેઠકોમાં ભાગ લઇ રહ્યા નથી. રાણેના દીકરા રત્નાગિરી-સિંધુદુર્ગ લોકસભા સીટ પરથી શિવસેનાના ઉમેદવાર સામે હારી ગયા હતા.
બીજું કારણ એ પણ છે કે આ પહેલા પણ રાણે અનેકવાર પ્રદેશ કોંગ્રેસની કાર્યશૈલી પર પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. રાણેએ રાજ્યમાં કોંગ્રેસના ઉમેદવારોની હાર માટે પોતાની સહયોગી પાર્ટી એનસીપી પર કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ચૂંટણી પરિણામો વાળા દિવસે જ કેબિનેટમાંથી રાજીનામુ આપવાની રજૂઆત કરી દીધી હતી. જો કે મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે તેને ફગાવી દીધી હતી.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઉમેદવારોની વ્યાપક હાર બાદ નેતૃત્વ પરિવર્તન મુદ્દે રાણેએ જણાવ્યું હતું કે તેઓ આ સંબંધમાં પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરશે. તેઓ આ મુદ્દે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નારાજ રાણે બે દિવસની અંદર પોતાના આગલા પગલા અંગે જાહેરાત કરી શકે છે. તેમના નજીકના સૂત્રોનું કહેવું છે કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ચૂપ હતા. જો કે હવે તેઓ ચૂપ રહેવા માંગતા નથી. તેઓ વર્ષ 2005માં શિવસેના છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. વિલાસરાવ દેશમુખ સરકારમાં તેઓ મંત્રી બન્યા હતા.