ગૌરક્ષાના નામે હિંસા કરનાર વિરુદ્ધ થશે કઠોર કાર્યવાહી: PM
તમામ પક્ષોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગૌરક્ષાના નામે હિંસા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોની બેઠકમાં કહ્યું કે, ગૌરક્ષાના નામે હિંસા કરનાર વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવામાં આવશે. સાથે જ તેમણે રાજ્ય સરકારોને કાયદો પોતાના હાથમાં લેનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે. તેમણે અહીં કડક શબ્દોમાં આ વાત કહી હતી.
સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલાં રવિવારે તમામ પક્ષોની એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા રાજ્યને અધીન વિષય છે અને આથી રાજ્ય સરકારોએ ગાયના નામે હિંસા કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ. સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે જણાવ્યું કે, સંસદ સત્ર પહેલાં બોલાવવામાં આવેલ આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ગાયને માતા માનવામાં આવે છે, પરંતુ એનો અર્થ એ નથી કે લોકો કાયદો પોતાના હાથમાં લે. સાથે જ તેમણે નોર્થ-ઇસ્ટ રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગૌરક્ષાના નામે દેશભરમાં થઇ રહેલ હિંસા અંગે ગત મહિને પણ નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે સાબરમતી આશ્રમમાં સંબોધન કરતાં કહ્યું હતું કે, શું ગાયના નામે તેમને કોઇને મારવાનો હક મળી જાય છે? શું આ ગૌભક્તિ છે? શું આ ગૌરક્ષા છે? આ ગાંધીજી કે વિનોબા ભાવેનો રસ્તો ન હોઇ શકે. શું ગાયના નામે હવે આપણે માણસોને મારીશું? આ સાથે જ તેમણે દેશમાં વધતી હિંસાના ત્રણ ઉદાહરણ પણ આપ્યા હતા.