યુદ્ધ સ્મારકોના મુદ્દે મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
મુંબઇ, 28 જાન્યુઆરી: 'એ મેરે વતન કે લોગો' ગીતના 51 વર્ષ પુરા થવાના અવસર પર લતા મંગેશકરને સન્માનિત કર્યા બાદ થોડીવાર પછી નરેન્દ્ર મોદીએ દેશમાં યુદ્ધ સ્મારકના ઘટાડાને લઇને કોંગ્રેસ નેતૃત્વવાળી યુપીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર તેજ કરતાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન દ્વારા એક ભારતીય સૈનિકનું માથું કાપી નાખવાની ઘટના અને ચીન દ્વારા સાઇબર હુમલા ઉપરાંત હથિયારોની ખરીદી માટે પુરતા નાણાની અછતની વાત કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 'દુનિયામાં એવો કોઇ દેશ નથી જ્યાં કોઇ યુદ્ધ સ્મારક ન હોય. ભારતે કેટલાય યુદ્ધ લડ્યા છે, હજારો સૈનિક શહિદ થયા છે પરંતુ તેમના બલિદાનને સન્માન આપવા માટે એકપણ યુદ્ધ સ્મારક નથી.' તેમને પ્રશ્ન કર્યો હતો કે 'શું આપણે તેમને યાદ ન કરવા જોઇએ? શું કોઇ યુદ્ધ સ્મારક ન હોવા જોઇએ?' લોકસભાની ચૂંટણીમાં ભાજપના સારા પ્રદર્શનનું અનુમાન લગાવનાર સર્વેક્ષણોનો હવાલો આપતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'મને લાગે છે કે કેટલીક સારી બાબતો મારા કરવા માટે રહી ગઇ છે.'
ભીડ દ્વારા 'મોદી લાવો દેશ બચાવો'ના નારા વચ્ચે તેમને કહ્યું હતું કે 'આ ફક્ત મુંબઇનો અવાઝ નથી, આખા દેશનો અવાઝ છે, કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી, અને એવું કહેવામાં આવે છે કે જનતાનો અવાઝ ઇશ્વરનો સંદેશ છે.' નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનીઓ દ્વારા એક ભારતીય સૈનિકનું માથું કાપી નાખવાના મુદ્દાને ઉપાડ્યો હતો.
તેમને કહ્યું હતું કે 'એક નાનો દેશ આપણા જવાનનું માથું કાપી નાખે છે અને આપણે કંઇપણ કરવામાં નિષ્ફળ રહીએ છીએ. આપણા સૈનિકોના માથા પોતાની ધરતી પર પરત લાવો.' તેમને કહ્યું હતું કે ભારતીય સૈનિકોએ યુદ્ધ કરતાં આતંકવાદી હુમલાઓમાં જીવ ગુમાવ્યા છે.