લખનૌ, 16 મે : લોકસભા ચૂંટણી 2014ના પરિણામો આવે તે પહેલા જ પોસ્ટર્સમાં નરેન્દ્ર મોદીને પીએમ બનાવી દેવામાં આવ્યા છે. એક્ઝિટ પોલના તારણોને કારણે નરેન્દ્ર મોદી સમર્થકો અને ભાજપના કાર્યકરો એટલા બધા ઉત્સાહિત છે કે ચૂંટણી પરિણામો આવતા પહેલા જ તેમને વડાપ્રધાન જાહેર કરી દીધા છે. લખનૌના મેરઠમાં ઠેર ઠેર આવા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે અને નરેન્દ્ર મોદીને દેશના નવી વડાપ્રધાન બનવા માટેના અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. જો કે આ પોસ્ટર્સને કારણે ભાજપે હવે સફાઇ આપવી પડી રહી છે.
ઉત્તર પ્રદેશના મેરઠમાં ભાજપના કાર્યકરોએ શહેરમાં ઠેર ઠેર પોસ્ટર્સ લગાવ્યા છે. જેમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન અને ભારત સરકાર કહીને સંબોધિત કરવામાં આવ્યા છે. આ હોર્ડિંગમાં નરેન્દ્ર મોદી ઉપરાંત પ્રદેશ અઘ્યક્ષ ડૉ. લક્ષ્મીકાંત વાજપેયી અને સાંસદ રાજેન્દ્ર અગ્રવાલની તસવીરો પણ છે. આ પોસ્ટરના નિવેદક તરીકે બિજેન્દ્ર ગુપ્તા ઉર્ફે પપ્પૂ બિલ્ડરની તસવીર છાપવામાં આવી છે.
આ સ્થિતિમાં પ્રશ્ન એ છે કે જો ચૂંટણી પરિણામો વિપરિત આવ્યા તો આ હોર્ડિંગ માટે પપ્પૂ બિલ્ડરની સાથે પાર્ટીને પણ નીચું જોવાનો વારો આવી શકે છે. આ પોસ્ટર્સ દિલ્હી રોડ, દિલ્હી ચૂંગી, રેલવે રોડ, જગદીશ મંડપ, બચ્ચા પાર્ક પાસે લગાવવામાં આવ્યા છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયીએ આ મુદ્દે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે અમને આ પ્રકારના હોર્ડિંગ લગાવવાની સૂચના મળી હતી. હવે મેં તેને હટાવવા માટેની સૂચના આપી છે. કારણ કે હજી ભાજપ જીતી નથી અને નરેન્દ્ર મોદી પણ વડાપ્રધાન બન્યા નથી. આ પ્રકારના ઘટનાક્રમને સ્વીકાર કરી શકાય એમ નથી.