પોતાના મંત્રીઓને પટાવાળા સમજે છે મોદી: જાવેદ
નવી દિલ્હી, 25 ઓક્ટોબર: બોલિવુડના જાણીતા ગીતકાર અને રાજ્યસભાના સભ્ય જાવેદ અખ્તરે દાવો કર્યો છે કે બીજેપી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થઇ ચૂકેલા નરેન્દ્ર મોદી સારા વડાપ્રધાન નહીં થઇ શકે. જાવેદે જણાવ્યું કે મોદી લોકતાંત્રિક વ્યવસ્થામાં વિશ્વાસ નથી કરતા માટે મોદી દેશ માટે સારા એવા વડાપ્રધાન સાબિત ના થઇ શકે.
ગીતકાર જાવેદ અખ્તરે પત્રકારોને મોદીના વડાપ્રધાન પદ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા છે. પરંતુ તેમની સિદ્ધિ લોકતંત્ર માટે પડકારરૂપ છે. જાવેદ અખ્તરે મોદી પર આરોપ લગાવતા જણાવ્યું કે મોદી પોતાના મંત્રીઓની સાથે પટાવાળાની જેમ વ્યવહાર કરે છે. આવામાં મોદી આ પ્રકારની વિચારસરણી સાથે દેશને કેવી રીતે ચલાવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મધ્યપ્રદેશના બુંદેલખંડમાંથી બીજેપી પર પ્રહાર કર્યા હતા, અને હવે જાવેદ અખ્તરનું આવું નિવેદન. મોદી આજે ઝાંસીમાં રેલીને સંબોધવાના છે બની શકે કે મોદી આ રેલીમાં રાહુલ અને જાવેદ અખ્તરને જડબાતોડ જવાબ આપે.