મોદી સરકારના 4 વર્ષઃ લોકોની અપેક્ષા સંતોષવામાં વામણા પુરવાર થયા
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 26 મેના રોજ 4 વર્ષ પુર્ણ કરશે. 60 મહિના માટે ચોકીદાર બનાવોના નારા સાથે દેશમાં સત્તા સંભાળ્યાને 48 મહિના થયા છે.
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 26 મેના રોજ 4 વર્ષ પુર્ણ કરશે. 60 મહિના માટે ચોકીદાર બનાવોના નારા સાથે દેશમાં સત્તા સંભાળ્યાને 48 મહિના થયા છે. 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા. 2014ની સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસ સહિત સમગ્ર સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) નો રકાસ થયો હતો. જ્યારે, ભાજપના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) પુર્ણ બહુમતિ સાથે ઉભરી આવ્યું હતું. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કૉંગ્રેસનું સંપુર્ણ ધોવાણ થયું હતું. દેશના 15માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 23 કેબિનેટ કક્ષાના પ્રધાનો અને 22 રાજ્ય કક્ષાના પ્રધાનો સાથે શપથ લીધા હતા.
વિકાસ કરતાં વિવાદ વધુ રહ્યો
નરેન્દ્ર મોદીનો 4 વર્ષનો સમયગાળો ખાસ કરીને, દેશમાં વિકાસની ગતિને વેગ આપવા કરતાં વિવાદાસ્પદ વધારે રહ્યો છે. પૂર્ણ બહુમતિથી સત્તામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ ઠોસ કદમ લેવાના બદલે ચીલાચાલું નિર્ણય કરવામાં અને અગાઉની સરકારોની યોજનાઓના નામ બદલવાનું શ્રેય લીધું છે. ઉજાલા યોજના હોય કે, સ્ટાર્ટ અપ યોજના દરેકના વાસ્તવિક અમલીકરણ કરવામાં કોઇ પરિણામ મળી શક્યું નથી.
વિજળીકરણ માટે ઝડપી કામગીરી
દેશના ગ્રામ્ય વિસ્તારો સુધી વિજળી પહોંચાડવાનું કઠીન કામ ઘણા અંશે કેન્દ્ર સરકારે હાંસલ કર્યુ છે. તાજેતરમાં વડાપ્રધાને સમગ્ર દેશમાં વિજળી પહોંચાડી હોવાનો દાવો કર્યો હતો પરંતું, તે હજુ વાસ્તવિક બન્યું નથી. દેશના ઘણા વિસ્તારો અને ખાસ કરીને દુર્ગમ વિસ્તારોમાં વિજળી પહોંચી શકી નથી. તો, રોડ રસ્તાના કામોમાં પણ ઘણી ઝડપી કામગીરી કરી છે. રેલવેને સુધારવાની દિશામાં પણ હકારાત્મક પગલાં લેવાયાં છે.
નોટબંધી આકરો નિર્ણય લીધો
નરેન્દ્ર મોદીએ ડિમોનિટાઈઝેશનનો કઠીન નિર્ણય લીધો હતો. 8 નવેમ્બર 2016ના રોજ રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ચલણમાંથી 500 અને 1000ની નોટ બંધ કરવાનો અને નવી 500ની નોટ અને 2000ની નવી નોટ ચલણમાં મુકવાની જાહેરાત કરી હતી. લોકોને પોતાની પાસે રહેલાં નાણાં જમા કરાવવા 50 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ 50 દિવસ દરમિયાન લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અસંખ્ય લોકોના ધંધા રોજગાર પણ ઠપ્પ થઇ ગયા હતા. ખાસ કરીને, છુટક મજુરી કરતાં તેમજ અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતાં લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા. પરંતું, ત્યાર બાદ હજુ સુધી નોટબંધીની દુરોગામી અસરો જોવા મળી રહી છે. દેશનો વૃદ્ધિદર પણ 2 ટકા નીચે આવ્યો હતો. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાળુ નાણું બહાર લાવવાના ઇરાદાથી કરેલ નોટબંધી કાળુ નાણું બહાર લાવવામાં નિષ્ફળ રહી છે.
ઉતાવળે જીએસટીનો અમલ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 જુલાઇ 2017ના રોજ જીએસટી અમલમાં મુક્યો હતો. અચાનક જીએસટીનો અમલ કરવાના કારણે અને ઉતાવળે શરૂ કરાયેલ જીએસટીના કારણે વેપારીઓ અને ધંધાદારીઓને ભારે મુશ્કેલી પડી હતી. પરંતું, હવે, દેશમાં એકંદરે જીએસટીનો ફાયદો અને સ્ટેબિલિટી જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડાનો લાભ ન મળ્યો
નરેન્દ્ર મોદીના શાસનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો થયો હોવા છતાં તેનો લાભ પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. જે, ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડાનો લાભ લોકોને મળવા જોઇએ તે મળી શક્યા નથી.
વિરોધીઓના સતત નિશાને રહ્યા પીએમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત વિરોધીઓના નિશાને રહ્યા છે. તેમના કામ અને નિર્ણયોની ટીકા થઇ છે. દેશમાં લોકશાહી અને સ્વાયત સંસ્થાઓ પર આધિપત્ય કર્યાના સતત આક્ષેપ પણ થતાં રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશનીતિની પણ સતત ટીકા થતી રહી છે. આ બધાની વચ્ચે પણ નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યો અને વિકાસના પ્રયાસો યથાવત રાખ્યા છે. છેલ્લા 4 વર્ષમાં કોઇ મોટા કૌભાંડ પણ બહાર આવ્યા નથી. પરંતું, અનેક દેવાદારો બેંકના દેવાં ભરપાઈ કરવાના બદલે વિદેશ સ્થાઈ થઇ ગયા છે. દેશમાં નવા વિદેશી મૂડીરોકાણમાં પણ ઘટ આવી છે.
લોકોની અપેક્ષા સંતોષવામાં નિષ્ફળ
એક રીતે, મનમોહનસિંહ સરકાર સામે થયેલા કૌભાંડો અને લોકરોષથી અસ્તિત્વમાં આવેલી નરેન્દ્ર મોદી સરકાર જે ઉંચા સ્વપ્ન અને વિકાસના ભ્રામક ચિત્ર પર વિશ્વાસ મુક્યો હતો. તેને વાસ્તવિક સ્વરૂપ આપવામાં અને લોકોની અપેક્ષા સંતોષવામાં નરેન્દ્ર મોદી સરકાર ઘણા અંશે વામણી પુરવાર થઇ છે.