મોદી એટલે 'મોડેલ ઓફ ડિવાઇડિંગ ઇન્ડિયા' : કપિલ સિબલ
નવી દિલ્હી, 3 મે : કોંગ્રેસે આસામના બે જિલ્લા કોકરાઝાર અને બકસામાં મુસ્લિમો વિરુદ્ધ ભડકેલી સાંપ્રદાયિક હિંસાનું ઠીકરું ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીના માથે ફોડ્યું છે. કોંગ્રેસના નેતા કપિલ સિબલે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીએ દેશોનો માહેલ ખરાબ કર્યો છે. તેઓ જ આસામની હિંસા માટે જવાબદાર છે.
કેન્દ્રીય કાયદા પ્રધાન કપિલ સિબલે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદી દેશનો માહોલ ખરાબ કરી રહ્યા છે. તેમની સાથે ભાજપના નેતાઓ પણ લોકોને ઉશ્કેરવા માટે ખોટી તસવીરો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર શેર કરી રહ્યા છે.
સિબલે શનિવારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર શેર કરવામાં આવેલી કેટલીક તસવીરોની સાથે ભાજપ અને નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો હતો. તેમણે આસામની હિંસાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કેહિન્દુસ્તાનમાં આજે સાંપ્રદાયિક હિંસાનો જે માહોલ ઉભો થયો છે તેનો શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે. આસામમાં મુસ્લિમોને નિશાન બનાવવાની કોંગ્રેસ ટીકા કરે છે.
સિબલે જણાવ્યું કે મોદી એટલે કે 'મોડેલ ઓફ ડિવાઇડિંગ ઇન્ડિયા' છે અને જનતાને મોદીના પાછળના અસલી ચહેરાને ઓળખવાની જરૂર છે. સિબલે જાસૂસીકાંડ અંગે પણ મોદી પર નિશાન તાક્યું હતું અને કહ્યું કે મોદીએ ગભરામણમાં પોતાના રાજ્યનું જ કમિશન બેસાડી દીધું હતું.
તેમણે જણાવ્યું કે પાકિસ્તાનમાં ભારતીય ધ્વજ સળગાવવાની ઘટના હૈદરાબાદમાં ઘટી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગડકરીએ આજ સુધી આ એકાઉન્ટ બંધ કરાવી દેવાની માંગણી કરી નથી.