'અ જર્ની - પોએમ્સ બાય નરેન્દ્ર મોદી'નું વિમોચન 20 એપ્રિલે દિલ્હીમાં
અમદાવાદ, 9 એપ્રિલ : ગુજરાતના મુખ્યમંત્રી અને લોકસભા ચૂંટણી 2014માં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ લખેલી કવિતાઓનો અંગ્રેજીમાં ભાવાનુવાદ સૌપ્રથમવાર પ્રકાશિત થઇ રહ્યો છે. આ પુસ્તકને 'અ જર્ની - પોએમ્સ બાય નરેન્દ્ર મોદી' નામ આપવામાં આવ્યું છે. તેનું વિમોચન 20 એપ્રિલના રોજ થવાનું છે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં લખેલી કવિતાઓનો ભાવાનુવાદ અંગ્રેજીમાં કરવામાં આવ્યો છે. રવિ મંથાએ કરેલા કવિતાના અંગ્રેજી ભાવાનુવાદને રૂપા પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ પુસ્તકનું વિમોચન નવી દિલ્હીમાં કરવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા એમ બે લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેઓ લોકો સુધી પોતાના વિચારો પહોંચાડવામાં કોઇ કસર છોડવા માંગતા નથી. આ પ્રક્રિયાનું જ એક પગલું આ પુસ્તક છે.
પુસ્તકના કવરપેજ પર કવિ નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે "હું મારી કવિતાઓને અસામાન્ય સાહિત્યિક રચના ગણતો નથી. તે મારા વિચારોનો નિચોડ છે. તે તાજા પાણીની પ્રવાહ જેવી છે. મારી કવિતાઓ; હું જેનો સાક્ષી રહ્યો છું, મેં જેનો અનુભવ કર્યો છે અને કેટલીક બાબતો વિશે કલ્પના કરી છે તેનું શાબ્દિક રૂપાંતર છે."
આ પુસ્તક અંગે રવિ મંથાનું કહેવું છે કે "આ કવિતાઓ શુદ્દ ભાવના છે. આ પુસ્તક જાહેર જીવન ધરાવતા નરેન્દ્ર મોદીને સમજવામાં મદદરૂપ બનશે. જે લોકો ગુજરાતીમાં તેમની કવિતાઓ માણી શકતા નથી તેઓને હવે અંગ્રેજી દ્વારા તેનો લાભ મળશે."












Click it and Unblock the Notifications
