નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દે: રાજ ઠાકરે
નાસિક, 9 જાન્યુઆરી: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની સલાહ આપી છે. નાસિકમાં રાજ ઠાકરેએ નિવેદન આપતાં કહ્યું હતું કે જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે તો પોતાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઇએ.
રાજ ઠાકરેએ કહ્યું હતું કે વડાપ્રધાન દેશના હોવા જોઇએ, કોઇ રાજ્યના નહી, નરેન્દ્ર મોદીએ દેશની વાત કરવી જોઇએ ફક્ત ગુજરાતની નહી. મુંબઇમાં નરેન્દ્ર મોદીના ભાષણથી નારાજ રાજ ઠાકરેએ કહ્યું હતું કે મુંબઇમાં આવીને ગુજરાતના સમાજની વાત તમે કેવી રીતે કરી શકો. આજે પણ મહારાષ્ટ્ર નંબર વન છે. નરેન્દ્ર મોદી મુંબઇમાં આવીને વલ્લભભાઇ પટેલની વાત કરે છે. તેમને શિવાજી મહારાજની વાત કરવી જોઇતી હતી.
રાજ ઠાકરેએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સારા ઉમેદવાર છે. તેમને ગુજરાતનો વિકાસ જરૂર કર્યો છે, પરંતુ પીએમ ઉમેદવાર છે તો તેમને દેશની વાત કરવી જોઇએ ના કે ફક્ત ગુજરાતની. રાજ ઠાકરેના આ નિવેદનને એકદમ સખત માનવામાં આવે છે. રાજ ઠાકરે અને નરેન્દ્ર મોદી વચ્ચે સારા સંબંધો હોવાનું કહેવામાં આવે છે અને થોડા સમય પહેલાં રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદી સાથે અમદાવાદ જઇને મુલાકાત કરી હતી.