રાજસ્થાન: PMના હસ્તે 15 હજાર કરોડની યોજનાઓનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ રાજસ્થાનના ઉદયપુરમાં 15000 કરોડના પ્રોજેક્ટનુ કર્યુ લોકાર્પણ.વડાપ્રધાન મોદીએ નેશનલ હાઈવેનુ કર્યુ ઉદઘાટન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાજસ્થાનના ઉદયપુર પહોંચ્યા હતા. ઉદયપુર ખાતે તેમણે મુખ્ય નેશનલ હાઇવેના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ઉદયપુરમાં પીએમ મોદીએ નેશનલ હાઇવે પ્રોજેક્ટના એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમની સાથે કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી અને મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ હાજર હતી.
15 હજાર કરોડથી પણ વધુની યોજના
બપોરે 2 વાગ્યે પીએમ મોદીએ ઉદયપુર ખાતે જનસભાનું સંબોધન કર્યું હતું. તેમણે રાજસ્થાની ભાષામાં લોકોનું અભિવાદન કરી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, હું રાજસ્થાનની પ્રજાને વિશ્વાસ અપાવું છું કે, પૂર જેવી સંકટની પરિસ્થિતિમાં સરકાર હંમેશા તમારી સાથે છે. આજે એક જ કાર્યક્રમમાં 15 હજાર કરોડથી પણ વધુની યોજનાઓની શરૂઆત, એ રાજસ્થાનની એક અદભૂત ઘટના છે. યોજનાઓની જાહેરાત, ચૂંટણી સમયે કરેલા વાયદાઓ, સમાચાર પત્રોમાં હેડલાઇન, આવી રમત દેશે ઘણા વર્ષોથી જોઇ છે. એ વાયદાઓ પૂરા કરવા અને યોજનાઓનો અમલ કરવો એ જ સૌથી મોટો પડકાર છે. પડકાર સામે લડતાં-લડતાં દેશને વિકાસ તરફ આગળ વધારવો જરૂરી છે.
જે કામ હાથમાં લીધું એ પૂર્ણ કરીશું
સરકાર-સરકારમાં તફાવત હોય છે. 300 કરોડનો એક પુલ બનવામાં 11 વર્ષ લાગ્યા હતા. આજે 5600 કરોડના પ્રોજેક્ટનું ત્રણ વર્ષની અંદર ઉદઘાટન થઇ રહ્યું છે. જે કામ હાથમાં લીધું છે, એ પૂર્ણ કરીને જ જંપીશું. આવનારા દિવસોમાં 9 હજાર કરોડથી પણ વધુના નવા કામ માત્ર રાજસ્થાનમાં જ થશે. મોટા ભાગના કાર્યો રોડ સાથે જોડાયેલા છે. જો અમે 500-500 કરોડ કરીને યોજનાઓની જાહેરાત કરી હોત, તો રાજસ્થાનની ચૂંટણી સુધી રાજકારણની રોટલી શેકી હોત. પરંતુ અમને એ વાત મંજૂર નથી, માટે તમામ યોજનાઓની જાહેરાત એકસાથે કરી છે.
રોડ નિર્માણથી ખેડૂતોને ફાયદો
જ્યારે આધુનિક વ્યવસ્થાઓ વિકસિત થાય છે, ત્યારે કાળા રંગનો રોડ તમારા જીવનમાં રોશની ભરવામાં કામ આવે છે. રોડથી સૌથી વધુ ફાયદો ખેડૂતોને થશે, તેઓ પોતાના ફળ, ફૂલ, શાકભાજી અને દૂધ સરળતા અને ઝડપથી શહેર લઇ જઇ શકશે. રાજસ્થાનમાં રોડ નિર્માણના કામથી આવકમાં પણ વધારો થશે. રાજસ્થાનમાં શહેરો વચ્ચેનું અંતર ઘણું છે અને અહીંના જીવનમાં ટૂરિઝમને આકર્ષવાની પણ તાકાત છે. દુનિયાભરના ટૂરિસ્ટ પુષ્કર મેળો, ઉદયપુર, જેસલમેર વગેરે જોવાની ઇચ્છા ધરાવે છે. રોડ નિર્માણથી ટૂરિઝમ ક્ષેત્રે ફાયદો થશે. ટૂરિઝમ ક્ષેત્રે વિકાસ ઓછા પૈસે શરૂ થાય છે અને વધુમાં વધુ ફાયદો કરાવે છે. ટૂરિઝમથી ચા વેચવાવાળા ગરીબને પણ ફાયદો થાય છે.
જીએસટી અંગે મોદી
રાજસ્થાનમાં રોડ અને ડિજીટલ નેટવર્કથી દૂર રહેનારા લોકોને પણ શિક્ષા મળશે. આ માટે ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક લગાવવામાં આવી રહ્યું છે, જેમાં કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યાં છે. જીએસટી અંગે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, રાતો રાત એક વ્યવસ્થા બદલવી અને દેશના લોકોને એની સાથે એડજસ્ટ કરવા, આ માત્ર ભારતમાં શક્ય છે. સાથે જ તેમણે રાજસ્થાનના તમામ વેપારીઓને જોડવા માટે 15 દિવસનું એક અભિયાન શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.