500 કરોડના ગોટાળામાં SRK-નવાઝુદ્દીનની થઇ શકે છે પૂછપરછ
500 કરોડના ગોટાળા મામલે શાહરૂખ ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી પર કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત વેબવર્ક ટ્રેડ લિંક્સ દ્વારા રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે કથિત રૂ. 500 કરોડના કેશ-ફોર-ક્લિક ગોટાળાની તપાસ શરૂ થઇ છે. સીબીઆઇ દ્વારા મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ પણ સામે આવ્યું છે.
આ કેસમાં નોંધાયેલી ફરિયાદમાં જે લોકોના નામ સામે આવ્યા છે, એમાં શાહરૂખ ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીનું નામનો પણ સમાવેશ થાય છે. ફરિયાદમાં વેબવર્ક ટ્રેડ લિંકના પોર્ટલ એડ્સબુક.કોમના પ્રચારમાં આ બંન્ને અભિનેતાનું નામ છે. આથી પોલીસ આ બંન્નેની પૂછપરછ કરે એવી શક્યતા છે. શાહરૂખ અને નવાઝુદ્દીને આ પોર્ટલના પ્રચારનું કામ કર્યું હતું, આથી ફરિયાદમાં તેમનું નામ સામે આવ્યું છે.
પોલીસ અનુસાર આ કંપનીએ લગભગ 20 લાખ લોકો પાસેથી રૂ. 500 કરોડ ભેગા કર્યા હતા. અલાહાબાદ હાઇકોર્ટના આદેશ બાદ હવે આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો છે. પહેલા રાજ્યની પોલીસ દ્વારા આઇટી એક્ટ હેઠળ આ કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે મામલે સીબીઆઇના હાથમાં જતાં એફઆઇઆર ફરીથી રજિસ્ટર કરવામાં આવી છે. આ કારણે કેસને બિલકુલ નવો જ વળાંક મળવાની શક્યતા છે.