શું ખરેખર 18 ઓગસ્ટના રોજ થયું હતું નેતાજીનું મૃત્યુ?
France secret agency report, Neta Subhash Chandra Bose didn't died in a plane crash on 18th August, 1945.
છેલ્લા કેટલાયે સમયથી માનવામાં આવી રહ્યું હતું કે, નેતા સુભાષ ચંદ્ર બોઝના રહસ્યમયી મૃત્યુ પરથી પડદો ઉંચકાઇ ગયો છે. ભારત સરકાર દ્વારા સુભાષ ચંદ્ર બોઝને લગતા જે દસ્તાવેજો સાર્વજનિક કરવામાં આવ્યા હતા, તેમાં એ વાતની પુષ્ટિ થઇ હતી કે, નેતાજીનું મૃત્યુ 18 ઓગસ્ટ, 1945ના રોજ વિમાન દુર્ઘટનામાં થયું હતું. ત્યાર બાદ આ વિવાદ અને ચર્ચા પર પૂર્ણ વિરામ મુકાયુ હોવાનું મનાઇ રહ્યું હતું. પરંતુ ફ્રાન્સના ગુપ્ત અહેવાલો અનુસાર, નેતા સુભાષ ચંદ્ર બોઝનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં નહોતું થયું.
પેરિસના ઇતિહાસકાર જે.બી.પી મૂર દ્વારા ફ્રાન્સની ગુપ્ત રિપોર્ટને આધારે આ દાવો કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, 'નેતાજીનું મૃત્યુ તાઇવાનની વિમાન દુર્ઘટનામાં નહોતું થયું, કારણ કે નેતાજી ક્યાં છે એ અંગે ડિસેમ્બર 1947 સુધી કોઇ જાણકારી નહોતી મળી. ફ્રાન્સના ગુપ્ત અહેવાલ અનુસાર, સુભાષ ચંદ્ર બોઝ 18 ઓગસ્ટ, 1945ના રોજ થયેલ વિમાન દુર્ઘટનામાંથી ઉગરી ગયા હતા. આ રિપોર્ટમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે, 11 ડિસેમ્બર, 1947 સુધી તેમનું સરનામું અજ્ઞાત હતું.' નોંધનીય છે કે, ઇતિહાસકાર મૂર પેરિસના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાનમાં પ્રોફેસર છે.
પ્રોફેસર મૂર દ્વારા કરવામાં આવેલ આ ખુલાસો વધુ રસપ્રદ એટલા માટે છે કારણ કે, વિયેતનામ અને ઇન્ડો-ચાઇના તરીકે ઓળખાતો એ પ્રદેશ જ્યાં વિમાન દુર્ઘટના ઘટી હતી, એ પ્રદેશ તે સમયે ફ્રાન્સ સરકારના કબજામાં હતો.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝના મૃત્યુના કોયડાને ઉકેલવા માટે ભારત સરકાર તરફથી અત્યાર સુધીમાં ત્રણ સમિતિની રચના કરવામાં આવી છે. આ હેતુસર વર્ષ 1956માં રચાયેલ શાહનવાઝ પંચ અને વર્ષ 1970માં રચાયેલ ખોસલા પંચ સમિતિ બંન્નેનું કહેવું હતું કે, 18 ઓગસ્ટ, 1945 રોજ થયેલ વિમાન દુર્ઘટનામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું મૃત્યુ થયું હતું. વર્ષ 1999માં રચાયેલ ત્રીજી સમિતિ મુખર્જી કમિશન અનુસાર, આ દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ નહોતું થયું, પરંતુ ભારત સરકાર દ્વારા મુખર્જી સમિતિના આ તારણને ફગાવી દેવામાં આવ્યું હતું.