11 ડિસેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરુ થશે, કેટલાય મહત્વના ખરડા પર રહેશે નજર
11 ડિસેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરુ થશે, આ બિલ પર રહેશે નજર
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે બુધવારે સંસદના આગામી શિયાળુ સત્રની તારીખનું એલાન કરી દીધું. વિજય ગોયલે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે સંસદીય મામલાની કેબિનેટ કમિટીએ નિર્ણય લીધો છે કે સંસદનું શિયાળુ સત્ર 11 ડિસેમ્બર 2018થી શરૂ થઈને 8 જાન્યુઆરી 2019 સુધી ચાલશે. આ મોદી સરકારના પહેલા કાર્યકાળનું અંતિમ શિયાળુ સત્ર છે. સરકાર આ સત્રમાં કેટલાય મહત્વના ખરડા પસાર કરવાની કોશિશ કરશે.
કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે આ અંગે જાણકારી આપતા કહ્યું કે સંસદીય મામલાની કેબિનેટ સમિતિએ આગામી સત્ર 11 ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી બોલાવવાનો ફેસલો કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાય મહત્વના બિલો પર ચર્ચાની સાથે આ સત્રમાં ત્રિપલ તલાક બિલ પણ લાવવામાં આવી શકે છે. જ્યારે વિપક્ષ રાફેલ ડીલ, ખેડૂતોનું પ્રદર્શન, મોંઘવારી જેવા મહત્વના મુદ્દા ઉઠાવી શકે છે. આ ઉપરાંત યાદીમાં મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાને પણ ભંગ કરનાર અધ્યાદેશ પણ સામેલ છે.
સામાન્ય રીતે શિયાળુ સત્ર નવેમ્બર મહિનામાં શરૂ થાય છે. પરંતુ સતત આવું બીજી વાર છે જ્યારે શિયાળુ સત્રનું આયોજન ડિસેમ્બરથી કરવામાં આવી રહ્યું છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને કારણે ડિસેમ્બરમાં સત્રનું આયોજન કરવામાં આવશે. પાછલા વર્ષે ગુજરાત હિમાચલ વિધાનસભા ચૂંટણીના કારણે ડિસેમ્બરમાં સત્ર શરૂ થયું હતું.
આ પણ વાંચો- ઈસરોને મોટી સફળતા, સંચાર સેટેલાઈટ GSAT-29 લૉન્ચ કર્યો