હૈદરાબાદ બ્લાસ્ટ: યાસીન ભટકલ સહિત 5 આતંકી દોષી કરાર, 19 ડિસેમ્બરે સજા સંભળાવાશે
21 ફેબ્રુઆરીએ હૈદરાબાદના ભરચક વિસ્તાર દિલસુખનગરમાં થયેલા બે બોમ્બ બ્લાસ્ટમાં લગભગ 18 લોકો માર્યા ગયા હતા અને આશરે 131 લોકો ઘાયલ થયા હતા...
રાષ્ટ્રીય તપાસ એજંસી (એનઆઇએ) ની વિશેષ અદાલતે 2013 માં હૈદરાબાદના દિલસુખનગર વિસ્તારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં યાસીન ભટકલ સહિત પાંચ આરોપીઓને દોષી ઠેરવ્યા છે. તેમની સજા પર ચૂકાદો 19 ડિસેમ્બરે થશે.
બ્લાસ્ટ મામલે ઇંડિયન મુજાહિદ્દીનના 5 આતંકીઓ યાસીન ભટકલ, અસદુલ્લાહ અખ્તર, તહસીન અખ્તર, જિયા-ઉર-રહમાન, એજાજ શેખ અને રિયાઝ ભટકલ પર કેસ કરવામાં આવ્યો હતો, જેમાંથી રિયાઝ હજુ પણ ફરાર છે. કોર્ટે પહેલી વાર યાસીન ભટકલને દોષી ઠેરવ્યો છે.
21 ફેબ્રુઆરી, 2013 ના દિવસે હૈદરાબાદના ભરચક વિસ્તાર દિલસુખનગરમાં થયેલા બે બોમ્બ બ્લાસ્ટમાં લગભગ 18 લોકો માર્યા ગયા હતા અને આશરે 131 લોકો ઘાયલ થયા હતા. આ મામલે ઇંડિયન મુજાહિદ્દીનના સંસ્થાપક રિયાઝ ભટકલ અને તેના નવ અન્ય સાથીઓ સામે કેસ કરવામાં આવ્યો હતો.
મામલાની સુનવણી દરમિયાન કોર્ટે જણાવ્યુ કે આઇએમને વર્ષ 2009 માં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યુ હતુ. આ આતંકી સંગઠનનો હાથ નવેમ્બર 2007 માં વારાણસી, ફૈઝાબાદ અને લખનઉમાં અદાલતોમાં થયેલા ધમાકા અને 11 જુલાઇ, 2006 ના દિવસે વારાણસીમાં થયેલા ધમાકા ઉપરાંત 2006 માં મુંબઇ સીરિયલ બ્લાસ્ટ અને 25 ઓગસ્ટ, 2007 હૈદરાબાદમાં થયેલા ધમાકામાં પણ હતો.