બ્રસેલ્સ ભાગી ગયો નિરવ મોદી, સિંગાપોરના પાસપોર્ટ પર ફરી રહ્યો છે
પંજાબ નેશનલ બેંકના ગોટાળાના આરોપી નિરવ મોદી વિશે કહેવામાં આવી રહ્યુ છે કે તે બ્રિટનથી બ્રસેલ્સ ભાગી ગયો છે. તે ક્યાંય પણ યાત્રા કરવા માટે સિંગાપોરના પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે.
પંજાબ નેશનલ બેંકના ગોટાળાના આરોપી નિરવ મોદી વિશે કહેવામાં આવી રહ્યુ છે કે તે બ્રિટનથી બ્રસેલ્સ ભાગી ગયો છે. એક અંગ્રેજી વર્તમાનપત્રમાં છપાયેલા સમાચાર મુજબ નિરવ મોદી મંગળવારે કે બુધવારે બ્રસેલ્સ પહોંચ્યો. નિરવ મોદી વિશે આ પહેલા સમાચાર આવ્યા હતા કે તેણે બ્રિટનમાં શરણ લીધી છે. વળી, એ પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે નિરવ ક્યાંય પણ યાત્રા કરવા માટે સિંગાપોરના પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે.
સીબીઆઈએ સોમવારે ઈન્ટરપોલની મદદથી નિરવ મોદી અને તેના ભાઈ નિશાલ સામે રેડ કોર્નર નોટિસ જારી કરી છે. મુંબઈની એક સ્પેશિયલ અદાલતે મંગળવારે નિરવ મોદી અને તેના પરિવાર સામે બિન જામીનપાત્ર વોરન્ટ જારી કર્યુ હતુ. આ ઉપરાંત ગયા મહિને ઈડીએ હજારો કરોડના પંજાબ નેશનલ બેંકના ગોટાળામાં નિરવ મોદી અને તેના પિતા દિપક મોદી, બહેન પૂર્વી મહેતા, બનેવી મયંક મહેતા અને ભાઈ નિશાલ મોદી તેમજ એક અન્ય સંબંધી નિહાલ મોદી સહિત 23 લોકો સામે આરોપપત્ર ફાઈલ કર્યુ હતુ.
ભારત સરકારના એક નજીકના સૂત્રનું કહેવુ છે કે, "જેવી તેમને મંગળવાર અને બુધવારે નિરવ મોદીની બ્રસેલ્સમાં હોવાની સૂચના મળી, તે ત્યાં ગયા. ઈન્ટરપોલે ભારત સરકારને જણાવ્યુ છે કે 31 માર્ચ બાદ નિરવ મોદીના પાસપોર્ટથી કોઈ યાત્રા કરવામાં આવી નથી. તો એનો અર્થ એ થયો કે નિરવ મોદી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ નથી કરી રહ્યો. જો નિરવ મોદી સિંગાપોરના પાસપોર્ટ પર યાત્રા કરી રહ્યો છે તો બિનજામીનપાત્ર વોરન્ટથી કંઈ થઈ શકે નહિ. તેના માટે સિંગાપોર સરકાર પર દબાણ કરવુ પડશે."