વાંચો : નિર્ભયાના તે 6 પત્ર અને છેલ્લી ઇચ્છા!
જાણો તે છેલ્લા પત્રો વિષે જે નિર્ભયાએ મૃત્યુ પહેલા તેની માતાને લખ્યા હતા.
16 ડિસેમ્બરે દિલ્હી ગેંગરેપ પર આજે દેશની સર્વોચ્ચ અદાલતે નિર્ણય સંભળાયો. જેમાં અદાલતે નિર્ભયાના દોષીઓને ફાંસી આપવાનો પોતાનો આ નિર્ણય અટલ રાખ્યો. 16 ડિસેમ્બરની રાતે જે દિલ્હીની સડકો પર જે 23 વર્ષીય નિર્ભયા સાથે થયું તેની ભૂલાવી શકાય તેવું નથી. પણ હકીકત તે પણ છે કે તે પછી પણ આજ દિવસ સુધી આવી અનેક નિર્ભયા ગેંગરેપનો ભોગ બની ચૂકી છે. સગીર યુવકોમાં પણ અપરાધનું ધોરણ વધ્યું છે. તે વાત પણ એટલી જ સાચી છે કે આરોપીને ફાંસીની સજા આપવા માટે કોર્ટમાં બે વાર નિર્ણય લેવામાં આવે છે પણ આવા અપરાધીઓ આવા ક્રૂર ગુનાને આચરતા પહેલા ચાર મિનિટ પર નથી વિચારતા અને ના જ બચવા માટે સ્ત્રીને બીજો મોકો આપે છે.
તેમ છતાં મોડે મોડે પણ ન્યાયતંત્રના આ યોગ્ય નિર્ણય બાદ હવે તે જ જોવાનું રહ્યું કે ક્યારે આ ચાર આરોપીઓ ફાંસીના માંચડા પર લટકે છે. આ કેસનો સગીર આરોપી હાલ દક્ષિણ ભારતના એક હાઇ વે હોટલમાં એનજીઓની દેખરેખ હેઠળ કામ કરી રહ્યો છે. ત્યારે આ તમામ વચ્ચે નિર્ભયાની તે 6 પત્ર વાંચવા બહુ જરૂરી બની જાય છે જે તેણે મરતા પહેલા તેની માંને લખ્યા હતા.
પહેલો પત્ર
16 ડિસેમ્બરના રોજ ગેંગરેપ પછી નિર્ભયાને જ્યારે એમ્સમાં દાખલ કરવામાં આવી ત્યાં લોહીથી લથપથ હાલતમાં તેણે 19 ડિસેમ્બર 2012ના રોજ તેની માતાને પહેલી ચિઠ્ઠી લખી હતી. તે ભયંકર પીડા હતી અને બોલી શકવા માટે અસમર્થ હતી. માટે તેણે પત્ર લખીને પોતાની પીડા તેની માતાને કહી જેમાં તેણે પહેલા પત્રમાં લખ્યું હતું કે "માં મને ખૂબ જ પીડા થઇ રહી છે. હું તે પીડા સહન નથી કરી શકતી. ડોક્ટરની દવા પણ મારો દુખાવો ઓછા નથી કરી શકતા. અને હવે હું આ દુખાવો સહન નથી કરી શકતી."
બીજો પત્ર
બીજો પત્ર તેણે 21 ડિસેમ્બરના રોજ વર્ષ 2012ના રોજ બેભાન અવસ્થામાંથી જાગ્યા પછી લખ્યો હતો. તેણે આ પત્રમાં લખ્યું હતું કે માં હું પીડાના કારણે બરાબર રીતે શ્વાસ પણ નથી લઇ શકતી. મને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. ડોક્ટરોને કહો મને ઊંધની દવા ના આપે હું સૂઇ જઉં છું તો મને લાગે છે કોઇ મારા શરીરને નોંચી રહ્યું છે. અને હું તેને રોકવા માટે અસમર્થ છું.
ત્રીજો પત્ર
નિર્ભયાનો ત્રીજો પત્ર 22 ડિસેમ્બર 2012ના રોજ હતો. જેમાં તેણે કહ્યું હતું કે હું અરીસામાં મારો ચહેરો નથી જોવા માંગતી. હું નાહવા માંગુ છું. મારા શરીર પરથી તે જાનવરોના લોહીની દુર્ગંધ આવી રહી છે. મને મારા શરીરથી નફરત છે. માં તું મને છોડીને ના જતી.
ચોથો પત્ર
નિર્ભયાએ તેની માતાને 23 ડિસેમ્બર 2012ના રોજ લખ્યો હતો અને પૂછ્યુ હતું કે પપ્પા ક્યાં છે? તે મને મળવા કેમ નથી આવતા? માંને તેણે કહ્યું હતું કે પાપાને કહેજો દુખી ના થાય. નોંધનીય છે કે નિર્ભયાને મોતને ભલે ચાર વર્ષ થઇ ગયા હોય પણ તેના માતા-પિતા અને પરિવાર હજી પણ આ શોકમાંથી બહાર નથી આવી શક્યા અને હવે તેમની એક જ ઇચ્છા છે કે તેમની મૃત પુત્રીને ન્યાય મળે. અને તે તેના આરોપીઓને ફાંસીને માંચડે લટકતા જુએ.
નિર્ભયાનો પાંચમો પત્ર
25 ડિસેમ્બરના રોજ નિર્ભયાએ પાંચમો પત્ર લખ્યો હતો. જેમાં તેણે પોતાના સાથે આ દુષ્કર્મ કરનાર આરોપીઓને સખત સજા આપવાની વાત કરી હતી. સાથે જ તેણે પોતાના મિત્ર જે તે ઘટના સમયે તેની સાથે હતો તેના પણ ખબર અંતર પૂછ્યા હતા. વધુમાં તેણે કહ્યું હતું કે તે હવે જીવવા નથી ઇચ્છતી.
અંતિમ ઇચ્છા
નિર્ભયાના અંતિમ પત્ર જે તેણે 26 ડિસેમ્બર 2012મના રોજ લખ્યો હતો. તેમાં તે પીડા સામે લડીને થાકી ગયેલી માનસિકતા સાથે લખ્યો હતો. તેણે પત્રમાં લખ્યું હતું કે તે હવે પીડા સહન નથી કરી શકતી. તે મરવા ઇચ્છે છે. તેણે કહ્યું હું પીડા સહન કરીને થાકી ગઇ છું. ડોક્ટરને કહી મને કોઇ દવા આપી દો. અને મને માફ કરો પણ હું થાકી ગઇ છું. તે પછી નિર્ભયા કોમામાં જતી રહી. અને પછી કદી પાછી ના આવી. અને સાચા અર્થમાં મોતે તેને તેની પીડાથી મુક્તિ આપી. ત્યારે આ ઘટનાને ચાર વર્ષ વીતી ગયા, આરોપીઓને ફાંસી સજા પણ ફટકારવામાં આવી. પણ ફાંસી ક્યારે મળશે અને તે સગીર અપરાધીનું શું તે સવાલ લોકો જાણવા માંગે છે!
{promotion-urls}