'અમે રાષ્ટ્રપતિને ટીપુ સુલતાનના વખાણ કરવા નથી કહ્યું'
રાષ્ટ્રપતિ કોવિંદે પોતાના ભાષણમાં ટીપુ સુલતાનના વખાણ કરતાં સર્જાયો વિવાદ. કર્ણાટકમાં થયેલ આ ભાષણ મામલે કોંગ્રેસ અને ભાજપ આમને-સામને. આ અંગે વધુ વાંચો અહીં...
બુધવારે ટીપુ સુલતાન અંગે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મોટી ટિપ્પણી કરી હતી. કર્ણાટક વિધાનસભામાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, ટીપુ સુલતાન યુદ્ધ ટેક્નિકમાં અગ્રણી હતા, તેમનું મૃત્યુ બ્રિટિશરો સાથેની ઐતિહાસિક લડાઇમાં થયું હતું. કર્ણાટક રાજ્યની હાલની પરિસ્થિતિને જોતાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની આ ટિપ્પણી ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે થોડા સમય પહેલાં જ કર્ણાટક સરકારે જાહેરાત કરી હતી કે દર વર્ષે 10 નવેમ્બરના રોજ ટીપુ સુલતાન જયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રાજ્યની કેટલીક સંસ્થાઓએ આ વાતનો વિરોધ કર્યો છે.
"રાષ્ટ્રપતિ પાસે જાણી જોઇને કરાવ્યા વખાણ"
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના ભાષણ અંગે પણ વિવાદ છેડાઇ ગયો છે. એક તરફ ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસે રાષ્ટ્રપતિના ભાષણમાં આ વાતો ઉમેરાવી હતી. તો બીજી બાજુ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું કહેવું છે કે, રાષ્ટ્રપતિનું ભાષણ રાજ્ય સરકારે તૈયાર નહોતું કર્યું. રાજ્ય સરકાર તરફથી આ અંગે રાષ્ટ્રપતિ ભવન કોઇ સૂચના પણ મોકલવામાં નહોતી આવી. ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી કે.એસ.ઈશ્વરપ્પાએ કહ્યું હતું કે, કોંગ્રેસે પ્રયત્નપૂર્વક અને જાણી જોઇને રાષ્ટ્રપતિ પાસે ટીપુ સુલતાનના વખાણ કરાવ્યા હતા.
અનંત કુમાર હેગડેનો પત્ર
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી ટીપુ સુલતાન જયંતિ કાર્યક્રમ મામલે વાતાવરણ ગરમાયું છે અને આ મામલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામ-સામે આવી ગયા છે. થોડા દિવસ પહેલાં કેન્દ્રિય મંત્રી અનંત કુમાર હેગડેએ આ અંગે કર્ણાટકના મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો, તેમણે પોતાના પત્રમાં ટીપુ સુલતાનને હિંદુ વિરોધી અને બર્બર હત્યારા અને બળાત્કારી ગણાવતા કર્ણાટક રાજ્યમાં થનાર ટીપુ સુલતાન જયંતિ સંબંધિત કાર્યક્રમમાં આમંત્રણ નહીં આપવાનું જણાવ્યું હતું. તેમણે આ અંગે એક ટ્વીટ પણ કર્યું હતું.
CM સિદ્ધારમૈયાનો આ અંગે જવાબ
આ અંગે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, આને રાજકારણીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. અંગ્રેજો વિરુદ્ધ ચાર યુદ્ધો થયા હતા અને ચારેયમાં ટીપુએ અંગ્રેજો વિરુદ્ધ મોરચાની આગેવાની કરી હતી. આ ટીપુ સુલતાન જયંતિ સમારોહમાં તમામ કેન્દ્રિય અને રાજ્ય સ્તરના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, હવે એમાં સહભાગી થવું કે નહીં, એ તેમના પર છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, અનંત કુમાર હેગડે સરકારનો ભાગ છે અને આથી તેમણે આવો પત્ર ના લખવો જોઇએ.
ટીપુ સુલતાનની વેશભૂષામાં પૂર્વ મુખ્યમંત્રી
કેટલાક ભાજપના નેતાઓ આનો વિરોધ કરી રહ્યાં છે ત્યાં બીજી તરફ થોડા દિવસ પહેલાં જ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર એક કાર્યક્રમમાં ટીપુ સુલતાનની વેશભૂષામાં પહોંચ્યા હતા. તેમણે ટીપુ સુલતાન જેવી ટોપી પહેરી હતી, તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. આ તસવીર વાયરલ થયા બાદ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ભાજપ બે બાજુ બોલે છે, એક તરફ એ લોકો ટીપુ સુલતાન વિરુદ્ધ નિવેદન કરે છે અને બીજી બાજુ આ રીતે લોકોને લોભાવવાનો પ્રયત્ન કરે છે. તો જગદીશ શેટ્ટરે કહ્યું હતું કે, આ એક સમારંભની તસવીર છે, જ્યાં તેમને આ ટોપી આપવામાં આવી હતી.