આંબેડરનગર, 5 મે: ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને યુપીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશનો રસાતાળ વાળી દિધો છે જેથી દેશને મુક્તિ અપાવવી ખૂબ જ જરૂરી છે.
તેમણે કહ્યું કે હવે દેશમાં બોમ્બ, બંદૂક અને પિસ્તોલનું રાજકારણ ચાલશે નહી. તેમણે કહ્યું કે મેં તો અન્યાય વિરૂદ્ધ લડવાનું બાળપણથી શિખ્યું છે અને આજે પણ અન્યાય વિરૂદ્ધ લડી રહ્યો છું. તેમણે કહ્યું કે દાગી સાંસદો પર કેસ થવો જોઇએ અને ગુનેગારો દાગીઓ માટે સંસદમાં કોઇ સ્થાન નથી.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 2014ની લોકસભાની ચૂંટણી પાર્ટીઓની નહી પરંતુ દેશની જનતા લડી રહી છે. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે અમને લૂંટવાનું આવડતું નથી. અમને ફક્ત માંગવાનું આવડે છે. તેમણે કહ્યું કે અમને અમારા અધિકાર માટે લડવાનું આવડે છે અને જનતા ઇશ્વર છે એટલા માટે તો માથું જુકાવીને માંગીશું. માંગવામાં કેવી શરમ. તેમણે કહ્યું કે અમને માંગવું મંજૂર છે કારણ કે અમને લૂંટતા આવડતું નથી.
તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર ઠેકડી ઉડાવતાં કહ્યું હતું કે પહેલાં તો તે મારું નામ ક્યારેય લેતી ન હતી પરંતુ હવે રેલીમાં મોદી-મોદી નામ લઇ રહી છે. તેમણે કહ્યું કે મને પીએમ કહેવા બદલ સોનિયા ગાંધીના મોંઢામાં ઘી-ગોળ. તેમણે કહ્યું કે સપા અને બસપા એક થાળીમાં ખાય છે અને સોનિયાજી પીરસે છે.