6 વર્ષ સુધીના બાળકો માટે કોઈ પાઠ્ય પુસ્તક નહિ, નવા સિલેબસમાં ઘણુ બધુ છે ખાસ, જાણો અહીં
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 3થી 8 વર્ષની વચ્ચેના બાળકો માટે નવી દિલ્લીમાં નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક(NCF)ની શરુઆત કરી.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 3થી 8 વર્ષની વચ્ચેના બાળકો માટે નવી દિલ્લીમાં નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક(NCF)ની શરુઆત કરી. આ અભ્યાસક્રમ દેશમાં નાના બાળકો માટે આ પ્રકારનો પહેલો એકીકૃત પાઠ્યક્રમ છે. આ નવા અભ્યાસક્રમ મુજબ છ વર્ષની ઉંમરના બાળકો માટે કોઈ પાઠ્યપુસ્તક નહિ હોય. બાળકોને રમકડા પર આધારિત શીખવાનુ, રમવાનુ અને જીવનનો અનુભવ, માતૃભાષાનો ઉપયોગ, ભારતીય હીરોની કહાનીઓ અને શિક્ષણની પારંપરિક અવધારણાઓ, વિવિધતા, લિંગ, નૈતિક જાગૃતિ અને રચનાત્મકતા તેમજ અવલોકનના માધ્યમથી મૂલ્યાંકન સામેલ છે.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એનઈપી 2020 દ્વારા અપાયેલા સૂચનોના આધારે નેશનલ કરુક્યુલમ ફ્રેમવર્ક 2022ની રુપરેખા તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જણાવ્યુ કે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક એટલે કે અભ્યાસક્રમમાં 4 તબક્કા હશે. પહેલા તબક્કામાં પાયો અથવા પ્રારંભિક બાળપણની સંભાળ, બીજા તબક્કામાં પ્રારંભિક શિક્ષણ, ત્રીજા તબક્કામાં મિડલ એજ્યુકેશન અને ચોથા તબક્કામાં સેકન્ડરી એજ્યુકેશન રહેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રએ કેન્દ્રીય વિદ્યાલયમાં બાલ વાટિકાનો પણ શુભારંભ કર્યો.
આ નવા પાઠ્યક્રમમાં સૌથી મહત્ત્વનુ અને પડકારજનક કામ પાયાનુ કે પ્રારંભિક બાળપણનુ ધ્યાન રાખવાનુ છે. બેઝલાઇન સ્ટેજ માટે પ્રથમ માળખુ વિકસાવવુ સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે સંશોધન દર્શાવે છે કે વ્યક્તિના મગજનો 85%થી વધુ વિકાસ 6-8 વર્ષની ઉંમર સુધીમાં થાય છે. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેમને શું શીખવવાની જરૂર છે અને તેઓએ એ વય જૂથમાં શું શીખવાની જરૂર છે. આ માળખાના આધારે, NCERT જાન્યુઆરી 2023 સુધીમાં બેઝલાઇન તબક્કા માટે પાઠયપુસ્તકો અને શિક્ષણ સામગ્રી તૈયાર કરશે તેમ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યુ હતુ.
નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) દસ્તાવેજ જણાવે છે કે 3થી 6 વર્ષની વયના બાળકો માટે કોઈ નિર્ધારિત પાઠ્યપુસ્તક ન હોવુ જોઈએ. આ વય જૂથના બાળકો પર પાઠ્ય પુસ્તકોનો બોજ ન હોવો જોઈએ. આ ઉંમરના બાળકોને સર્જનાત્મક રીતે શીખવવુ જોઈએ. 3થી 6 વર્ષની વયના બાળકો માટે સાદી વર્કશીટોનો ઉપયોગ કરવો જોઈએ. દસ્તાવેજ જણાવે છે કે 6થી 8 વર્ષની વયના વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો આપી શકાય છે. આ બાળકો માટે સામાન્ય પાઠ્ય પુસ્તકો સાથે અભ્યાસ માટે ડિજિટલ અને ઑડિયો-વિઝ્યુઅલ સામગ્રી પણ આપવામાં આવશે.