હવે બાળ ઠાકરે પર ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ
મુંબઇ, 19 જુલાઇ : આજકાલ બોલીવુડમાં સત્ય હકીકત અને જીવનચરિત્રો પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ જોર શોરમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં ભારતીય દોડવીર મિલ્ખા સિંગના જીવન પર બનેલી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'ને સારો પ્રતિસાદ મળ્યો છે. હવે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના જીવન પર એક ફિલ્મનું નિર્માણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બોલીવુડના અનેક નિર્દેશકો બાળ ઠાકરેના જીવન પર ફિલ્મ બનાવવા માંગે છે. જો કે બાળ ઠાકરેના જીવન પર જે ફિલ્મ બનાવવામાં આવશે તે મરાઠી ભાષામાં હશે. આ કારણે બોલીવુડના જાણીતા દિગ્દર્શક મહેશ માંજરેકર ફિલ્મનું નિર્દેશન સંભાળે તેવી શક્યતા છે. જો કે આ અંગે કોઇ સત્તાવાર માહિતી મળી શકી નથી.
બોલીવુડમાં તાજેતરમાં ભાગ મિલ્ખા ભાગ રજૂ થઇ છે. બીજી તરફ સંજય લીલા ભણસાલી ઑલિમ્પિકમાં કાંસ્ય પદક વિજેતા મેરી કોમ પર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ઉપરાંત મહાન ફિલ્મકાર ગુરુ દત્ત, ગાયક કિશોર કુમાર, હોકીના જાદુગર ધ્યાનચંદ, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન સહિત અનેક જાણીતી હસ્તીઓના જીવન પર ફિલ્મ બનાવવામાં આવશે એવી ચર્ચા જોરમાં છે.