હવે બે પોલીસ સ્ટેશનની હદનો વિવાદ નહીં રહે
હવે આ સમસ્યાનો ઉકેલ કેન્દ્ર સરકારે શોધી કાઢયો છે.
કેન્દ્ર સરકારે તમામ રાજયોને જણાવી દીધું છે કે કોઇપણ ક્રાઇમ અંગેની ફરિયાદ કે માહિતી મળે તો જયુરીસડિકશનના વાદ વિવાદમાં પડયા વગર ઝીરો એફઆઇઆર નોંધવામાં આવે. ક્રિમીનલ લોમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારોનો અમલ શરૂ કરવાના આદેશો કેન્દ્રએ આપ્યા છે. કેન્દ્રએ રાજયોને એવી પણ ચેતવણી આપી છે કે, કોઇપણ એફઆઇઆર નોંધવાની કોઇ પોલીસ કર્મચારી ના પાડે તો તેને જેલની સજા કરવામાં આવે.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે તમામ રાજયોને જણાવ્યું છે કે તમામ પોલીસ સ્ટેશનોમાં અને પોલીસ પોસ્ટમાં આ માટે જાગૃતિના કેમ્પ પણ યોજવામાં આવે. રાજયોને મોકલેલા નિર્દેશોમાં કેન્દ્રના ગૃહ મંત્રાલયે જણાવ્યુ છે કે ઘણી વખત જયુરીસડિકશન (હદ) નક્કી કરવામાં કિંમતી સમય ચાલ્યો જતો હોય છે અને તેનાથી પીડિતને નુકસાન થતું હોય છે અને ગુનેગારને છટકી જવાની તક પણ મળી જતી હોય છે.
આ સુધારાઓ નવા ક્રિમીનલ લો (સુધારા) એકટ 2013માં સુચવવામાં આવ્યા છે. દિલ્હીમાં 23 વર્ષની યુવતી ઉપર થયેલા ગેંગરેપ બાદ આ નવો કાયદો ઘડવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યુ છે કે, તાજેતરમાં એવા અનેક કેસ જોવા મળ્યા છે જયાં પોલીસે એફઆઇઆર નોંધવાનો ઇન્કાર કર્યો હોય અથવા તો હદ નક્કી કરવાનો મામલો આગળ ધરીને એફઆઇઆર નોંધવાની ના પાડી હોય.
ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે પોલીસને કોગ્નીઝેબલ ગુન્હાની માહિતી મળે કે તરત જ એફઆઇઆર નોંધવી જોઇએ અને એફઆઇઆર નોંધ્યા બાદ તપાસમાં એવુ જણાય કે આ મામલો અન્ય પોલીસ સ્ટેશનના જયુરીસડીકશનમાં આવે છે તો એફઆઇઆર તેણે જે તે પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરવાની રહે છે. જો એફઆઇઆર નોંધતી વખતે પોલીસ સ્ટેશનને એવું જણાય કે આ ગુન્હો તેની હદમાં આવતો નથી તો જે તે પોલીસ સ્ટેશને ઝીરો એફઆઇઆર નોંધવાની રહેશે અને પછી એફઆઇઆર જે તે સંલગ્ન પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવાની રહેશે.
જો માહિતી મળ્યા બાદ એફઆઇઆર નોંધવાનો કોઇપણ પોલીસ કર્મચારી ઇન્કાર કરે તો પોલીસ સામે 166 એ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં 6 મહિના સુધીની જેલની જોગવાઇ છે અને તે જેલવાસ બે વર્ષ સુધી લંબાવવાની પણ જોગવાઇ છે. દંડ સાથે જે તે પોલીસ કર્મચારીએ ખાતાકીય પગલાંનો પણ સામનો કરવો પડશે.