રાજ્યપાલને મળ્યા પન્નીરસેલ્વમ, શશિકલાએ કર્યો સરકાર બનાવવાનો દાવો
AIADMK નેતા પન્નીરસેલ્વમે પાર્ટી મહાસચિવ શશિકલા વિરુદ્ધ જંગ છેડી છે, જેમને ધારાસભ્યોના દળે પોતાના નેતા તરીકે પસંદ કરી છે.
તમિલનાડુ ના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ચૂકેલાં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ(એઆઇએડીએમકે)ના નેતા ઓ પન્નીરસેલ્વમે ગુરૂવારે મોડી સાંજે રાજ્યના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ સાથે મુલાકાત કરી હતી. જેના થોડા સમય બાદ જ એઆઇએડીએમકે ના અધ્યક્ષ શશિકલા પણ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા. રાજભવન પહોંચતા પહેલાં શશિકલાએ મરીના બીચ સ્થિત જયલલિતા મેમોરિયલની મુલાકાત લીધી હતી અને ત્યાં મળા અર્પણ કરી હતી.
રાજ્યપાલને મળ્યા બાદ શશિકલાએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમની સાથે અન્ય 5 વરિષ્ઠ નેતા પણ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. તો બીજી બાજુ પન્નીરસેલ્વમે રાજ્યપાલને મળ્યા બાદ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, મેં રાજ્યપાલને રાજકારણીય પરિસ્થિતિ અંગે તમામ જાણકારી આપી દીધી છે. ધર્મની જ જીત થશે. અમ્માના આશિર્વાદ અને મધૂસૂદનના નેતૃત્વમાં અમે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. હું તમને આશ્વાસ આપું છું કે બધું સારું જ થશે. અત્યારે તમિલનાડુમાં જે કંઇ પણ થઇ રહ્યું એ અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.
રાજ્યપાલ પાસે છે આ વિકલ્પો
- રાજ્યપાલ પહેલેથી જ પન્નીરસેલ્વમનું રાજીનામું સ્વીકારી ચૂક્યાં છે, તેએ શશિકલાને સરકાર બનાવવા આમંત્રિત કરી શકે છે. એઆઇએડીએમકે ના ધારાસભ્યોના દળે શશિકલાને પોતાના નેતા તરીકે પસંદ કરી લીધા છે અને તેમની પાસે 133 ધારાસભ્યોનો સપોર્ટ છે. રાજ્યપાલ શશિકલાને ફ્લોર ટેસ્ટ માટે પણ કહી શકે છે.
- રાજ્યપાલ પાસે બીજો વિકલ્પ છે કે, તેઓ પન્નીરસેલ્વમને જ મુખ્યમંત્રી પદ સોંપે અને તેમને બહુમત સાબિત કરવા કહે. આ માટે પન્નીરસેલ્વમને ડીએમકેના સમર્તનની જરૂર પડી શકે છે.
- રાજ્યપાલ પાસ એક વિકલ્પ એ પણ છે કે તેઓ વિધાનસભા ભંગ કરી રાષ્ટ્રપતિ શાસન માટે અરજી કરે. જો કે, આ વાતની શક્યતા ઘણી ઓછી છે.
અહીં વાંચો - પન્નીસેલ્વમનો બળવો, તમિલનાડુમાં હાઇ-વોલ્ટેજ રાજકારણીય નાટક શરૂ