રાજદ્રોહ મુદ્દે સુપ્રીમનો કેન્દ્રને સવાલ, આ કાયદા હેઠળ નવા કેસ નોંધાશે કે નહીં?
રાજદ્રોહ કાયદા પર કડક વલણ દાખવતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે શું હવે આ કાયદામાં કેસ નોંધવામાં આવશે કે નહીં? કોર્ટે કેન્દ્ર સરકારને 11 મે સુધીનો સમય આપ્યો છે.
રાજદ્રોહ કાયદા પર કડક વલણ દાખવતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે શું હવે આ કાયદામાં કેસ નોંધવામાં આવશે કે નહીં? કોર્ટે કેન્દ્ર સરકારને 11 મે સુધીનો સમય આપ્યો છે. કોર્ટે આગળ કહ્યું- દેશમાં અત્યાર સુધી IPC 124-A એક્ટ હેઠળ જેટલા કેસ નોંધાયા છે તેનું શું થશે? તમે રાજ્ય સરકારોને આ કાયદા પર સમીક્ષા પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી 124A હેઠળના કેસોને મુલતવી રાખવાની સૂચના કેમ નથી આપી રહ્યા.
કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂ.છ્યું કે સમીક્ષા પ્રક્રિયામાં કેટલો સમય લાગશે? આ અંગે કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે હું આ પ્રશ્નનો ચોક્કસ જવાબ આપી શકતો નથી. તેમણે કોર્ટને કહ્યું કે સમીક્ષા પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એમ પણ કહ્યું કે દેશની એકતા, અખંડિતતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજદ્રોહ કાયદા પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લીધો છે. જો કે, આમાંથી સજાની જોગવાઈ હટાવવામાં આવશે નહીં, કારણ કે કોઈ એવું કહી શકે નહીં કે જેઓ દેશ વિરુદ્ધ કામ કરે છે તેમને સજા ન થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદાના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી અને નવનીત રાણાનો મામલો ઉઠાવ્યો. કોર્ટે કહ્યું- એટર્ની જનરલે પોતે કહ્યું હતું કે હનુમાન ચાલીસા વાંચવા પર દેશદ્રોહનો કાયદો લગાવવામાં આવી રહ્યો છે.
રાજદ્રોહ કાયદાના કેસમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આઈપીસીની કલમ 124Aની જોગવાઈઓ પર વિચાર કરવા અને તપાસ કરવા કહ્યું હતું. કેન્દ્રએ કોર્ટમાં સોગંદનામું આપ્યું હતું. જેમાં કોર્ટને અપીલ કરવામાં આવી હતી કે જ્યાં સુધી સરકાર દ્વારા તપાસ ન થાય ત્યાં સુધી આ મામલાની સુનાવણી ન કરવામાં આવે.