સરકારની વધુ એખ પીછેહટ, કપડા પર જીએસટી વધારો મુલતલી રખાયો!
GST કાઉન્સિલે કપડાં પર ટેક્સ 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય હાલ પૂરતો ટાળી દીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં આ વધારો હાલ પૂરતો મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હી : GST કાઉન્સિલે કપડાં પર ટેક્સ 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય હાલ પૂરતો ટાળી દીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં આ વધારો હાલ પૂરતો મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માહિતી હિમાચલ પ્રદેશના ઉદ્યોગ મંત્રી બિક્રમ સિંહે આપી હતી. ફેબ્રુઆરીમાં યોજાનારી આગામી બેઠકમાં તેની સમીક્ષા કરવામાં આવે તેવી શક્યતા છે.
અગાઉ એવા અહેવાલો હતા કે કાઉન્સિલ આ વધારો હાલ પૂરતો મુલતવી રાખી શકે છે. 1 જાન્યુઆરી 2022 થી કાપડ અને શૂઝ પર GST 5 ટકાથી વધારીને 12 ટકા કરવાની યોજના હતી. રાજ્ય સરકારોથી લઈને આ ક્ષેત્રો સાથે જોડાયેલા ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓ તેનો વિરોધ કરી રહ્યા હતા. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં ફૂટવેર અને કપડા પરના જીએસટી દરમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુરુવારે સીતારામણ સાથે યોજાયેલી પ્રી-બજેટ મીટિંગમાં કેટલાક રાજ્યોએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ગુજરાત, પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન અને તમિલનાડુ જેવા રાજ્યોએ તેનો વિરોધ કર્યો હતો. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ બેઠકમાં કહ્યું કે, આનાથી સમગ્ર કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થશે. આ નિર્ણય સામાન્ય માણસ માટે અનુકૂળ નથી અને તેને પાછો ખેંચવો જોઈએ. તેમણે કહ્યું કે કાપડ પર માત્ર 5 ટકા જીએસટી વસૂલવો જોઈએ.
દરમિયાન CAIT એ આ નિર્ણયને મોકૂફ રાખવાનું સ્વાગત કર્યું છે. CAITના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે આનાથી દેશના લાખો કાપડ અને ફૂટવેર વેપારીઓને રાહત મળશે, જે એક મહિના કરતાં વધુ સમયથી ભારે તણાવ અનુભવી રહ્યા હતા. ખંડેલવાલે એમ પણ કહ્યું કે કપડાંની જેમ ફૂટવેર પર પણ જીએસટી દર વધારવાનો નિર્ણય મોકૂફ રાખવો જરૂરી છે.