નોટબંધી: ટેક્સ પ્રોફાઇલ વિનાના 80 હજાર ખાતા પર ITની નજર
આવકવેરા વિભાગ દ્વારા 80 હજાર બેંક ખાતાઓ પર નજર રાખવામાં આવી રહ્યા છે. જેમાં નોટબંધી બાદ 10 લાખથી વધુ રકમ જમા કરવામાં આવી હતી. તે અંગે વધુ વાત કરો.
આવકવેરા વિભાગ દ્વારા 80 હજાર એવા બેંક ખાતાઓ ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેમાં નોટબંધી બાદ 10 લાખથી વધુ રકમ જમા કરવામાં આવી હતી. આ એવા ખાતાઓ છે, જેમના નોટબંધી પહેલાં કોઇ ટેક્સ પ્રોફાઇલ નહોતા. આવકવેરા વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર, નોટબંધી બાદ તેમણે ઓપરેશન ક્લિન મની નામે કાળા નાણાં વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ 6 લાખથી વધુ બેંક ખાતાઓની પાસ કરવામાં આવી, જેમાં નોટબંધી બાદ પૈસા જમા કરાવવાના મામલે અનિયમિતતા જોવા મળી હતી. આ 6 લાખ ખાતાઓમાંથી 80 હજાર બેંક ખાતાઓનો કોઇ ટેક્સ પ્રોફાઇલ નહોતો.
આવકવેરા વિભાગનો રિપોર્ટ
આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ 80 હજાર ખાતેદારોએ ક્યારેય કોઇ ટેક્સ ભર્યો નથી. આમાંથી કેટલાક ખાતાઓમાં 20 લાખથી પણ વધુ રકમ જમા કરવામાં આવી છે. હવે આવકવેરા વિભાગ દ્વારા આ તમામ લોકોને નોટિસ મોકલીને આ રકમનો સ્ત્રોત જણાવવાનું કહેવામાં આવ્યું છે. આ માહિતી નોટબંધી અંગે આવકવેરા વિભાગ દ્વારા સીબીડીટીના નિરિક્ષણ હેઠળ તૈયાર કરવામાં આવેલ સ્ટેટસ રિપોર્ટમાંથી મળી છે. મળતી માહિતી અનુસાર, આવકવેરા વિભાગનો આ રિપોર્ટ વડાપ્રધાન કાર્યાલય ખાતે પણ મોકલવામાં આવશે. આ રિપોર્ટમાં આવકવેરા વિભાગ એ પણ જણાવશે કે, તે કયા ખાતામાં જમા થયેલ પૈસા પર શું કાર્યવાહી કરનાર છે.
અત્યાર સુધીમાં કેટલી અઘોષિત સંપત્તિ સામે આવી?
નોટબંધી બાદ આવકવેરા વિભાગ દ્વારા દેશભરમાં ઓપરેશન ક્લિન મની હાથ ધરવામાં આવ્યું હતું, જે હેઠળ 31 જાન્યુઆરીથી લઇને 15 ફેબ્રૂઆરી સુધી કાર્યવાહી થઇ હતી. આ દરમિયાન આવકવેરા વિભાગે જે બેંક ખાતાઓમાં 5 લાખથી વધુ રકમ જમા થઇ હતી, તેમની તપાસ આદરી હતી. આ અભિયાનનો બીજો તબક્કો એપ્રિલમાં શરૂ થયો હતો, જે હેઠળ 10 લાખથી વધુની રકમ જમા થઇ હોય એ ખાતાઓની તપાસ કરવામાં આવી હતી. નોટબંધી બાદ આવકવેરા વિભાગ દ્વારા 900 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 900 કરોડની સંપત્તિ અને 636 કરોડ રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ દરોડામાં અત્યાર સુધી 7961 કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ સામે આવી છે.