રાણી પદ્માવતી હિંદુ હતા એટલે જ તેમની છબી બગાડવામાં આવી- ગિરિરાજ સિંહ
ગિરિરાજ સિંહે કહ્યું કે, જે લોકો દેશના ઇતિહાસ સાથે રમત રમી રહ્યાં છે, તેમને જરૂર સજા થવી જોઇએ. તેમનામાં એટલું સાહસ કે હિંમત નથી કે તેઓ પયગંબર અંગે ફિલ્મ બનાવે.
સંજય લીલા ભણસાળી ની ફિલ્મ 'પદ્માવતી'નું શૂટિંગ શરૂ થયાને થોડા જ દિવસો થયા છે ને ફિલ્મ વિવાદના વાવંટોળમાં સપડાઇ ગઇ છે. આ ફિલ્મ સામે વિરોધ પ્રદર્શનો પણ થઇ રહ્યાં છે, જેમાં હવે કેન્દ્રિય રાજ્યમંત્રી ગિરિરાજ સિંહે પણ આ વિરોધ પ્રદર્શનને હવા આપે એવું નિવેદન કર્યું છે. તેમણે ધર્મનો મુદ્દો ઉંચકતાં કહ્યું છે કે, રાણી પદ્માવતીની છબિ ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે અને તે પણ એટલા માટે કે તેઓ એક હિંદુ રાણી હતા.ફિલ્મકારોમાં એટલી હિંમત કે સાહસ નથી કે તેઓ મોહમ્મદ પયગંબર પર ફિલ્મ બનાવે. આ લોકો દેશના ઇતિહાસ સાથે છેડછાડ કરી રહ્યાં છે, જે માટે તેમને સજા મળવી જોઇએ.
'ઔરંગઝેબ, ટીપુ સુલતાનને લોકો આઇકોન માનવા લાગ્યા છે'
ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ તરફથી આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ગિરિરાજ સિંહે કહ્યું કે, 'જે લોકો દેશના ઇતિહાસ સાથે રમત રમી રહ્યાં છે એમને સજા મળવી જોઇએ. તેમનામાં એટલી હિંમત નથી કે તેઓ પયગંબર અંગે ફિલ્મ બનાવે. આ આપણા દેશનું દુર્ભાગ્ય છે કે અહીં ઔરંગઝેબ, ટીપુ સુલતાનને લોકો આઇકોન માનવા લાગ્યા છે. દેશના ઇતિહાસ સાથે છેડછાડ કરીને જે રીતે રાણી પદ્માવતીનું ચિત્રણ કરવામાં આવ્યું છે, તેવું ના થયું હોત જો રાણી પદ્માવતી હિંદુ ન હોત.' ઉલ્લેખનીય છે કે, ગિરિરાજ સિંહ નવાદાથી ભાજપ સાંસદ છે અને કેન્દ્રિય રાજ્યમંત્રી પણ છે.
'હિંમત હોય તો પયગંબર પર ફિલ્મ બનાવો'
ગિરિરાજ સિંહે કહ્યું કે, 'જેમણે ભારતના ઇતિહાસ સાથે છેડછાડ કરી છે, ભારતની માન મર્યાદા સાથે રમત રમી છે, એ સૌને જનતાએ સજા કરવી જોઇએ. પદ્માવતીએ પોતાની જાત કુરબાન કરી દીધી, પરંતુ મુગલોને શરણે ના ગઇ. ફિલ્મ પીકે માં હિંદુ દેવી દેવતાઓ પર અનેક ટિપ્પણી કરવામાં આવી, પરંતુ કોઇની હિંમત ન થઇ કે, મોહમ્મદ સાહબ વિરુદ્ધ ફિલ્મ બનાવે. આ જનતાની ભાવના સાથે જોડાયેલો મુદ્દો છે, જનતા જલ્દી જ આ અંગે નિર્ણય લેશે.'
અહીં વાંચો - ટ્રંપનો નવો એક્ઝિક્યૂટીવ ઓર્ડર, ભારતીયોની મુશ્કેલી વધારશે