BJP સાંસદની ચીમકી,પદ્માવતી રિલીઝ કરનાર થિયેટરને આગ ચાંપીશું
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થનાર છે, પરંતુ આ અંગેનો વિવાદ હજુ શમ્યો નથી. કરણી સેનાએ ફિલ્મનો ખૂબ વિરોધ કર્યો. આ અંગે વધુ વાંચો અહીં.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થનાર છે, પરંતુ આ અંગેનો વિવાદ હજુ શમ્યો નથી. કરણી સેનાએ ફિલ્મનો ખૂબ વિરોધ કર્યો છે. ફિલ્મની રિલીઝને અટકાવવા માટે ગુજરાતના રાજપૂત સમાજ દ્વારા હાઇકોર્ટમાં પીએઆઇએલ ફાઇલ કરવામાં આવી છે. તો બીજી બાજુ, હૈદ્રાબાદના ગોશમહલના ભાજપ સાંસદ ટી.રાજા સિંહે પણ આ ફિલ્મની રિલીઝનો વિરોધ કરતું નિવેદન આપ્યું છે.
ભાજપ સાંસદે કર્યો વિરોધ
તેમણે કહ્યું હતું કે, તેલંગણામાં જે થિયેટરમાં આ ફિલ્મ રજૂ થશે, એને આગ ચાંપવામાં આવશે. તેમણે આ ધમકીભર્યા શબ્દો સોશિયલ મીડિયા વેબસાઇટ ફેસબૂક પર એક કોમેન્ટ દ્વારા કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મમાં રાજપૂતોની સંસ્કૃતિ સાથે છેડછાડ કરવામાં આવી છે અને તેમનું અપમાન થયું છે.
ઉમા ભારતીનો વિરોધ અને સૂચન
આ પહેલાં શનિવારે કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ પદ્માવતીના નિર્માતાઓ વિરુદ્ધ ખુલ્લો પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કહ્યું હતું કે, કલાકારોને અભિવ્યક્તિની આઝાદી છે, પરંતુ તેમણે તથ્યોને અવગણવા ન જોઇએ. કોઇને પણ ઇતિહાસ સાથે છેડછાડ કરવાની પરવાનગી ન આપી શકાય. તેમણે ટ્વીટર પર પણ લખ્યું હતું કે, રાણી પદ્માવતીના વિષય પર તેઓ તટસ્થ નહીં રહી શકે. તેમનું કહેવું છે કે, રાણી પદ્માવતીને રાજપૂત સમાજ સાથે ન જોડતાં ભારતીય નારીની અસ્મિતા સાથે જોડાવમાં આવે. ઉમા ભારતીએ સૂચન કર્યું હતું કે, આ ફિલ્મની રિલીઝ પહેલાં ઇતિહાસકાર, ફિલ્મકાર, સેન્સર બોર્ડ અને આપત્તિ લેનારા સમુદાયના પ્રતિનિધિઓ મળીને એક સમિતિ બનાવે અને આ અંગે નિર્ણય કરે.
રાજસ્થાનની સર્વ બ્રાહ્મણ મહાસભાનો વિરોધ
આ ઉપરાંત રાજસ્થાનના સર્વ બ્રાહ્મણ મહાસભાએ પણ 'પદ્માવતી' ફિલ્મ સામે વિરોધ દર્શાવ્યો છે. આ સંગઠનના પ્રમુખ સુરેશ મિશ્રાએ કહ્યું હતું કે, 'તેઓ કોઇ પણ કિંમતે ઐતિહાસિક તથ્યો સાથે થયેલ છેડછાડ સાંખી નહીં લે. સામાન્ય લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતા આ ફિલ્મ રિલીઝ ન કરવી જોઇએ. જો ફિલ્મ રિલીઝ થઇ તો એનો વિરોધ કરવામાં આવશે. નિર્દેશક સંજય લીલા ભણસાલીએ તથ્યો સાથે છેડછાડ કરી રાણી પદ્માવતીની છબી ખરાબ કરી છે અને આ વાત કોઇ સાંખી નહીં લે.'
ગિરિરાજ સિંહે શું કહ્યું?
કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે પણ કહ્યું હતું કે, સંજય લીલા ભણસાલી કે કોઇ પણ અન્ય ફિલ્મકારમાં એટલી હિંમત નથી કે તેઓ અન્ય કોઇ ધર્મ આધારિત ફિલ્મ બનાવે કે કોઇ ટિપ્પણી કરે. તેઓ હિંદુ ધર્મગુરૂઓ, ભગવાન અને યોદ્ધાઓ પર આધારિત ફિલ્મો જ બનાવે છે. હવે અમે આ વાત સહન નહીં કરી શકીએ.