પાકિસ્તાને ભારતીય સેનાના જવાન ચંદુ ચૌહાણને આપ્યા હતા ડ્રગ્સ
સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભૂલથી એલઓસી પાર કરી પાકિસ્તાન પહોંચી ગયેલા ભારતીય સેનાના જવાન ચંદૂ બાબુલાલ ચૌહાણ. ચાર માસ સુધી પાકિસ્તાનના કબજામાં રહેલા ચંદુને ડ્રગ્સ આપવામાં આવતા હતા.
29 સપ્ટેમ્બરના રોજ સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભૂલથી લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પાર કરીને પાકિસ્તાન પહોંચેલા ભારતીય સેના ના જવાન ચંદુ બાબુલાલ ચૌહાણને પાકિસ્તાનમાં કાળજુ કાંપી ઉઠે એવી યાતનાઓ આપવામાં આવી હતી. તેણે જણાવ્યું કે, ચાર માસ દરમિયાન તેને અનેક જાતની યાતના આપવામાં આવી હતી અને તેની ખૂબ પિટાઇ પણ કરવામાં આવતી હતી.
પાકિસ્તાની સૈનિક ઇન્જેક્શનથી આપતા હતા ડ્રગ્સ
ચૌહાણે મીડિયાને જણાવ્યું કે, પાકિસ્તાની સેનાના સૈનિકો ઘણીવાર તેની પિટાઇ કરતા અને ખૂબ યાતના આપતા. એટલું જ નહીં, તેને નિયમિત રીતે ડ્રગ્સના ઇન્જેક્શન પણ આપવામાં આવતા હતા. પાકિસ્તાની સૈનિક તેને પૂછતા કે. એલઓસી પાર કરવા પાછળનું કારણ શું છે? તેઓ શ્રીનગરમાં એલઓસી પાસે સ્થિત આર્મી બેઝ અંગે પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરતા હતા. ચંદૂના જમણા હાથની આંગળીઓ પર પણ ઇજાના ઘણા નિશાન છે અને ઘણીવાર તેને અમુક વસ્તુઓ યાદ પણ નથી રહેતી. આ પાકિસ્તાની સૈનિકો દ્વારા આપવામાં આવેલા ડ્રગ્સની આડઅસર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેના ચહેરા પર પણ નાની-નાની ઇજાના નિશાન છે તથા ચાલવમાં પણ તેને ખૂબ તકલીફ પડે છે.
પાકિસ્તાન સામે એક્શન લેવા અંગે સરકાર મૌન
રક્ષા રાજ્યમંત્રી સુભાષ ભામરેએ આ અંગે કહ્યું કે, પાકિસ્તાન તરફથી બીજી કોઇ આશા પણ ન રાખી શકાય. સરકાર આ મામલે પાકિસ્તાન સામે કોઇ એક્શન લેશે કે કેમ, એ અંગે કોઇ ટિપ્પણી કરવાનો તેમણે ઇનકાર કરી દીધો હતો. ચૌહાણ જમ્મુ કાશ્મીરમાં 37 રાષ્ટ્રીય રાઇફલ્સ સાથે પોસ્ટેડ હતા. ભારતીય સેનાએ આપેલી જાણકારી અનુસાર ચંદુલાલ અજાણતા જ સીમાની પેલે પાર પહોંચી ગયો હતો. આ માત્ર એક ભૂલ હતી. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે, ચંદૂ એ કામાન્ડો ટીમનો જ એક ભાગ હતો, જેમણે એલઓસી પાર કરી હતી. જ્યારે ભારતીય સેનાનું કહેવું છે કે, ચંદૂ એ ટીમમાં નહોતો.
અહીં વાંચો - હાફિઝ સઇદ નજરબંધ, પીએમ મોદી અને ટ્રંપને ગણાવ્યા જવાબદાર