"મોર આજીવન બ્રહ્મચારી છે, આથી રાષ્ટ્રીય પક્ષી છે.."
બુધવારે રાજસ્થાન હાઇ કોર્ટના જજે એક સુનવણી દરમિયાન ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની વાત સાથે આ વાત કહી હતી.
બુધવારે પોતાની ફરજના છેલ્લા દિવસે રાજસ્થાન હાઇકોર્ટના જજ મહેશ ચંદ્ર શર્માએ 7 વર્ષે જૂના હિંગોનિયા ગૌશાળા મામલે વાત કરતાં કહ્યું હતું કે, સરકારે ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવી જોઇએ. મહેશ ચંદ્ર શર્માએ સુનવણી દરમિયાન આ વાત કહી હતી. સાથે જ તેમણે મોર રાષ્ટ્રીય પક્ષી શા માટે કહેવાય છે, એ અંગે પણ જાણકારી આપી હતી.
અહીં વાંચો - રાજસ્થાનની હાઇકોર્ટે કહ્યું ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે સરકાર
જજે બુધવારે જણાવ્યું હતું કે, ગાયનું દૂધ, મૂત્ર, છાણ, હાડકાં વગેરે બધું જ પવિત્ર ગણાય છે. મેં મારા ચૂકાદામાં તમામ વેદો અને ધાર્મિક ગ્રંથોના આધારે વિસ્તારપૂર્વક જણાવ્યું છે કે, ગાય માનવીઓ માટે શા માટે મહત્વપૂર્ણ છે.
રાષ્ટ્રીય પક્ષી મોર અંગે તેમણે કહ્યું હતું કે, મોરને રાષ્ટ્રીય પક્ષી એટલા માટે જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે તે આજીવન બ્રહ્મચારી રહે છે. ઢેલ મોરના આંસુ પી લે છે અને એ રીતે ગર્ભ ધારણ કરે છે. મોર બ્રહ્મચારી હોવાથી કૃષ્ણ ભગવાને મોરપંખ પોતાના મુગટમાં લગાવ્યું હતું અને સાધુ-સંતો પણ આ કારણે જ મોરપંખ સાથે રાખે છે.
રાજસ્થાન હાઇ કોર્ટના જજની મોર અંગેની આ વાત સાંભળને ઘણા વિશેષજ્ઞો દંગ રહી ગયાં છે. સૌને આશ્ચર્યનો વિષય એ છે કે, જજ જેવા ઊંચા પદે બેઠેલ માણસ કઇ રીતે આવી વાત કરી શકે છે.