નવા રેલ મંત્રીએ આપ્યો આદેશ, બધા યાત્રીઓને થશે ફાયદો
નવા રેલ મંત્રી પિયુષ ગોયલે તમામ રેલ કર્મચારીઓને સખત આદેશ આપ્યો છે કે, તેઓ યાત્રીઓ પાસેથી ટિપ અને ખાવાના વધુ પૈસા લેવાનું બંધ કરે.
તમામ રેલ યાત્રીઓ માટે એક ખુશખબરી છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે તમામ રેલ કર્મચારીઓને સખત આદેશ આપતા કહ્યું છે કે, તેઓ યાત્રીઓ પાસેથી ટિપ અને ખાવાના વધુ પૈસા લેવાનું તુરંત બંધ કરે. આ માટે તેમણે રેલ કર્મચારીઓને 48 કલાકનો સમય આપ્યો છે. આ પહેલા પણ ટિપ અને વધુ પૈસા લેવા પર પ્રતિબંધ મુકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે પિયુષ ગોયલે અલ્ટિમેટમ આપ્યું છે.
પિયુષ ગોયલના આ આદેશ બાદ હવે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉરપોરેશન(IRCTC) દ્વારા કેટરિંગ કોન્ટ્રેક્ટર્સને આ આદેશ પર અમલ કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ સૂચના આપવામાં આવી છે કે, જો આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તો તેમના પર પેનલ્ટી લગાવવામાં આવશે. આ સંબંધે સોમવારે રેલવે કેટરિંગ ઇન્સ્પેક્ટર્સ નિરીક્ષણ પણ કરશે.
આ સિવાય ટિપ લેવા તથા વધુ પૈસા લેવા પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ નજર રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજધાની એક્સપ્રેસમાં બક્ષિશ એટલે કે ટિપ માંગવાની પરંપરા અંગ્રેજોના સમયથી ચાલી રહી છે. અનેક ટ્રેનમાં 'નો ટિપ'ના સ્ટિકર પણ લાગેલા હોય છે, આમ છતાં વેઇટર ટિપ માંગતા હોય છે અને લોકો તેમને ટિપ આપે પણ છે, પરંતુ હવે આવું કરવા પર પેનલ્ટી લાગશે.