વડાપ્રધાનની કબૂલાત : હિન્ડાલ્કોને કોલ બ્લોકની ફાળવણી મારા કહેવાથી
નવી દિલ્હી, 20 ઓક્ટોબર : કોલસા બ્લોક્સની ફાળવણીમાં વડાપ્રધાન મનમોહન સિંહ પર લાગી રહેલા આરોપો બાદ વડાપ્રધાન કાર્યાલયે પોતાનું મૌન તોડીને જવાબ આપ્યો છે.કોલસા કૌભાંડમાં પૂર્વ કોલસા સચિવ પી સી પારેખ અને ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા લપેટાયા બાદ કૌભાંડની આગની ઝપટ હવે વડાપ્રધાન સુધી પહોચી રહી છે.
પારેખ દ્વારા પીએમની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવાયા બાદ વડાપ્રધાન કાર્યાલયે પોતાનું મૌન તોડીને જવાબ આપ્યો છે કે કુમાર મંગલમ બિરલાની કંપની હિન્ડાલ્કોને કોલસા બ્લોકની ફાળવણીની મંજૂરી વડાપ્રધાનના કહેવાથી મળી હતી.
પીએમઓના જણાવ્યા અનુસાર પીએમ મનમોહન સિંહે 1 ઓક્ટોબર, 2005માં હિન્ડાલ્કોને કોલસા બ્લોકની ફાળવણી માટે મંજુરી આપી હતી. નોંધપાત્ર બાબત એ છે કે કોલસા કૌભાંડ અંતર્ગત તપાસ કરી રહેલી સીબીઆઇએ હિન્ડાલ્કોને કરેલી ફાળવણીને ગેરકાયદેસર ગણાવી છે. આ કારણે કુમાર મંગલમ બિરલા પર કેસ પણ નોંધવામાં આવ્યો છે. પીએમઓએ જણાવ્યું કે વડાપ્રધાને પોતાની સામે રજૂ કરેલા તથ્યોના આધારે કોલસા ફાળવણીને મંજૂરી આપી હતી.
વાસ્તવમાં વિપક્ષી દળોએ પ્રારંભથી જ કોલસા કૌભાંડમાં વડાપ્રધાનની સામેલગીરીને શંકાસ્પદ ગણાવીને તેમના રાજીનામાની માંગણી કરી હતી. કારણ કે જ્યારે આ કૌભાંડ આચરવામાં આવ્યું ત્યારે આ વિભાગ વડાપ્રધાન પાસે હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2005થી 2009 દરમિયાન કોલસા બ્લોક્સની ફાળવણીમાં અનિયમિતતાની તપાસ સીબીઆઇ કરી રહી છે. આ સમય દરમિયાન વડાપ્રધાને તમામ ફાળવણીઓને મંજૂરી આપી હતી.