PM અને આ પોલીસ ઓફિસરની મુલાકાતનું કારણ છે ખૂબ રસપ્રદ!
પીએમ મોદીએ યુપીના લખનઉના સબ-ઇન્સ્પેક્ટરની યોગની કવિતા માટે તેમને મળીને અભિનંદન આપ્યા હતા.
આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખનઉમાં એક સબ ઇન્સ્પેક્ટરને સન્માનિત કર્યા છે. લખનઉના દારોગા કુલદીપ સિંહ સબ ઇન્સ્પેક્ટર છે અને તેમણે યોગ વિશે એક કવિતા લખી છે. આ વાત જાણી પીએમ મોદી અત્યંત ખુશ થયા હતા અને તેમણે દારોગાને અભિનંદન કરતાં તેમનું સન્માન કર્યું હતું. કુલદીપ સિંહ પહેલા સબ ઇન્સ્પેક્ટર છે, જેમની સાથે પીએમ મોદીએ ખાસ મુલાકાત કરી તેમને અભિનંદન આપ્યા છે.
કુલદીપ સિંહ દારોગાએ યોગના ફાયદાઓ ગણાવતી એક કવિતા લખી હતી, કવિતાની શરૂઆતમાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે યોગના આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડવા માટે તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસ્થાપિત કરવા માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના પ્રયાસોને કારણે જ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે, આ માટે પીએમ મોદીએ જ યૂએનમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
બુધવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉના રમાબાઇ અંબેડકર મેદાનમાં લોકો સાથે યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં 60 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા, અનેક શાળાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી તમામે આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં પીએમ મોદીએ લગભગ 80 મિનિટ સુધી ભાગ લીધો હતો, તેઓ સવારે 6.30 વાગ્યે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઇક સહિત તમામ અધિકારીઓ અને નેતાઓએ ભાગ લીધો હતો.