PM મોદીએ અરુણાચલના પહેલા ગ્રીનફીલ્ડ એરપોર્ટનુ કર્યુ ઉદ્ઘાટન, કહ્યુ - હવે અટકવા અને લટકવાનો યુગ ગયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટાનગરમાં અરુણાચલ પ્રદેશના પહેલા ગ્રીનફીલ્ડ એરપોર્ટ ડોની પોલોનુ ઉદ્ઘાટન કર્યુ.
PM Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટાનગરમાં અરુણાચલ પ્રદેશના પહેલા ગ્રીનફીલ્ડ એરપોર્ટ ડોની પોલોનુ ઉદ્ઘાટન કર્યુ. વળી, તેમણે 600 મેગાવોટ કામેંગ જળવિદ્યુત સ્ટેશન પણ રાષ્ટ્રને સમર્પિત કર્યુ. આ દરમિયાન મંચ પરથી લોકોને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'અમે એક વર્ક કલ્ચર લાવ્યા છીએ, જ્યાં જે પ્રોજેક્ટ્સનો અમે શિલાન્યાસ કર્યો છે, તેનુ ઉદ્ઘાટન પણ અમે કરીએ છીએ. અટકવાનો, લટકવાનો, ભટકવાનો યુગ હવે જતો રહ્યો છે.'
અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં બોલતા પીએન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, જ્યારે મે 2019માં શિલાન્યાસ કર્યો ત્યારે ચૂંટણી નજીક હતી. રાજકીય વિવેચકોએ હોબાળો મચાવ્યો હતો કે એરપોર્ટ બનવાનુ નથી અને આજે તેનુ ઉદ્ઘાટન થઈ રહ્યુ છે. સંસ્કૃતિ હોય કે કૃષિ, વાણિજ્ય હોય કે કનેક્ટિવિટી, ઉત્તરપૂર્વને છેલ્લી નહિ ટોચની પ્રાથમિકતા મળે છે. આગળ પીએમ મોદીએ કહ્યુ કે આજે દેશમાં જે સરકાર છે, તેની પ્રાથમિકતા દેશનો વિકાસ, દેશના લોકોનો વિકાસ છે. વર્ષના 365 દિવસ, 24 કલાક અમે દેશના વિકાસ માટે જ કામ કરીએ છીએ.
પીએમ મોદીએ કહ્યુ કે અગાઉની સરકારોએ વિકાસની ગતિને આગળ વધારી ન હતી. પછી પરિવર્તનનો યુગ આવ્યો અને તમે મને તમારી સેવા કરવાની તક આપી. અગાઉની સરકારો વિચારતી હતી કે ઉત્તરપૂર્વ બહુ દૂર છે. સરહદી વિસ્તારના ગામડાઓને છેલ્લુ ગામ માનવામાં આવતુ હતુ પરંતુ અમારી સરકારે તેમને દેશના પ્રથમ ગામ તરીકે ગણ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે આ વિસ્તાર દાયકાઓ સુધી ઉપેક્ષાનો શિકાર રહ્યો. જ્યારે અટલજીની સરકાર આવી ત્યારે પહેલીવાર તેને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રથમ સરકાર હતી જેણે પૂર્વોત્તરના વિકાસ માટે અલગ મંત્રાલય બનાવ્યુ.