ભારતે ફરી શરમમાં ના મૂકાવું પડે એટલે જોરદાર બોલ્યા મોદી
નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ધર્મ પ્રત્યે ફેલાઇ રહેલી હિંસા અને નફરત પર જોરદાર પ્રહારો કર્યા. જ્યારે વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સમુદાયોને પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ભારતમાં તમામ ધર્મોના લોકો સુરક્ષિત છે અને ભારત સરકાર તેમની આસ્થાને સુરક્ષિત કરવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરશે.
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનું આ પહેલું એવું નિવેદન છે જેમાં તેમણે દેશભરમાં ધર્મના નામ પર ફેલાઇ રહેલી નફરત અને હિંસા પર તીક્ષ્ણ પ્રહાર કર્યો હોય. વડાપ્રધાને જે પ્રકારે ધર્મના નામ પર નફરત ફેલાવનારાઓ પર જોરદાર હુમલો કર્યો છે, તેનાથી એ સ્પષ્ટ કર્યું છે કે તેનાથી ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરીથી શરમમાં ના મૂકાવું પડે.
વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું કે સરકાર કોઇપણ ધાર્મિક સમૂહને પછી ભલે તે બહુમતી હોય કે લઘુમતી હોય, તે અનુમતિ નહીં આપે કે તે ખુલીને કે છૂપાઇને અન્ય ધર્મ પ્રત્યે ઘૃણા ફેલાવે. વડાપ્રધાને જણાવ્યું કે ધર્મના નામ પર હિંસા સાખી લેવામાં નહીં આવે અને ધાર્મિક હિંસા કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે.