વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને કંઇક આ રીતે કર્યા યાદ..
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે કન્યાકુમારીના વિવેકાનંદ કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીનું વીડિયો કોન્ફરન્સ થકી સંબોધન.
ગુરૂવારે સાંજે કન્યાકુમારીના વિવેકાનંદ કેન્દ્ર ખાતે યોજવામાં આવેલા રામાયણ દર્શનમ્ ભારતમાળા સદાનમ્ અને વીર હનુમાનની પ્રતિમાનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરારિ બાપુ પણ ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી નહોતા પુરાવી શક્યા, પરંતુ તેમણે વીડિયો કોન્ફરન્સ થકી સંબોધન કર્યું હતું.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલેથી જ સ્વામી વિવેકાનંદની વિચારધારાને બિરદાવતા આવ્યા છે, તેઓ વ્યક્તિગત રીતે પણ તેમની વિચારસરણીનું અનુસરણ કરતા જોવા મળ્યા છે.
ટેક્નોલોજીથી જોડાયા
કન્યાકુમારીના વિવેકાનંદ કેન્દ્રમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, "મને આ કાર્યક્રમમાં આવીને ખૂબ ખુશી થઇ હોત, હું ભલે ન આવી શકું પરંતુ ટેક્નોલોજીથી આપણે જોડાયેલા છીએ. હું આ પરિવારનો જ એક ભાગ છું. હું તમારો પોતાનો છું."
વિવેકાનંદનું જીવન આદર્શોથી ભરેલું છે..
ગુરૂવારે વિવેકાનંદ જયંતિ નિમિત્તે યોજવામાં આવેલા આ લોકાર્પણ કાર્યક્રમનું સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "12 જાન્યુઆરી એ કોઇ સામાન્ય દિવસ નથી. વિવેકાનંદનું જીવન આદર્શોથી ભરેલું છે અને તેમની વિચારધારા આજે પણ સેંકડો લોકોને માર્ગદર્શન આપે છે. સ્વામી વિવેકાનંદમાંથી પ્રેરણા લેવી જરૂરી છે. તેમણે લોકોમાં રાષ્ટ્રભાવના જગાડી છે."
12th January is no ordinary day...Swami Vivekananda's powerful thoughts continue to shape several minds: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2017
ભારત યુવા દેશ છે
"ભારત યુવાન દેશ છે. આપણો દેશ દિવ્ય બને અને ભવ્ય પણ બને એવી આશા વ્યક્ત કરું છું. આજે દુનિયા ભારત પાસે દિવ્યતાના અનુભૂતિની અપેક્ષા કરી રહી છે અને ભારતનો ગરીબમાં ગરીબ વ્યક્તિ દેશ પાસે ભવ્યતાની અપેક્ષા રાખે છે. સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને રાષ્ટ્ર નિર્માણ તરફ દોરી જશે. એકનાથજીએ જે લક્ષ્ય પાછળ પોતાનું આખું જીવન ખર્ચી નાંખ્યુ એ લક્ષ્ય હતું સ્વામી વિવેકાનંદ જેવા યુવાનોનું નિર્માણ. દેશ જ્યારે આ માર્ગે આગળ વધી સશક્ત બનશે, ત્યારે તેની ગરીબી આપોઆપ દૂર થશે."
હનુમાનજી એટલે સેવા અને સમર્પણ
"હું હનુમાનજીને પ્રણામ કરું છું. હનુમાનજી એટલે સેવા અને સમર્પણ. ઘણા લોકો આધ્યાત્મિક શક્તિ(સ્પિરિચ્યૂઅલ પાવર)ને પંથ સાથે જોડી દે છે, પરંતુ આધ્યાત્મિક શક્તિનો સીધો સંબંધ માનવતા સાથે છે. હું વિવેકાનંદ રૉક મેમોરિયલ સમીપ બનેલી સંત થિરુવલ્લુરની પ્રતિમાને પણ પ્રણામ કરું છું."