રામ જેઠમલાણી: મોદીએ દેશને દગો દીધો, તમને શું લાગે છે?
ફરી એકવખત દેશના સૌથી ચર્ચિત વકીલોમાંના એક રામ જેઠમલાણી સમાચારોમાં ચર્ચાઇ રહ્યાં છે, અને કારણ છે દેશના વડાપ્રધાન મોદી અને નાણાં મંત્રી અરૂણ જેટલી. મહત્વપૂર્ણ છેકે લોકસભા ચૂંટણીમાં રામ જેઠમલાણી મોદીને સપોર્ટ કરી ચૂક્યાં છે, અને હવે રામ જેઠમલાણીને અફસોસ થઇ રહ્યો છેકે શા માટે તેમણે મોદીને સપોર્ટ કર્યો? અને એટલે તેઓ હવે લોકોને અપીલ કરી રહ્યાં છેકે બિહારમાં તેઓ ભાજપને નહીં પણ નીતિશ કુમારને જીતાડે.
જણાવી દઇએ કે હંમેશા તરકશ તીરંદાજી વાળા નિવેદનોને લઇને લોકોના નિશાના પર રહેવાવાળા રામ જેઠમલાણીએ રવિવારે ભૂતપૂર્વ સૈનિકોના એક કાર્યક્રમમાં કહ્યું કે તેઓ વકીલ થઇને પણ પીએમ મોદી અને નાણાંપ્રધાન અરૂણ જેટલીની વાતોમાં આવી ગયા હતા.
જેઠમલાણીના મોદી માટે કડવા વચન
જેઠમલાણીએ આ કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે હવે આ લોકોને સત્તા પરથી બેદખલ કરવા તેજ તેમનો એક માત્ર ઉદ્દેશ છે. અને તેની શરૂઆત બિહારથી થવી જોઇએ.
પીએમ મોદીએ લોકોને ઠગ્યા
જેઠમલાણીએ કહ્યું કે પીએમ મોદીએ લોકોને માત્ર ઠગ્યા જ છે. તેમનુ સત્ય બહાર આવી ગયુ છે. અને મને ખુબ જ દુખ છેકે લોકસભા ચૂંટણીમાં મેં તેમને પીએમ બનાવવા માટે જોર કર્યું હતુ.
કાળાધનનો મુદ્દો
તેમણે કહ્યું કે પીએમ મોદીનું સમર્થન તેમણે એટલે કર્યું હતુ કે તેઓ વિચારતા હતા કે મોદી સરકાર કાળાધનને પાછું લાવવા માટે ગંભીરતાથી કામ કરશે. પરંતુ સરકારે તે દિશામાં કોઇ ગંભીર કાર્યવાહી નથી કરી.
નારાજગીનું કારણ
લોકસભા ચૂંટણીમાં મોદી મોદીની બુમરાડ કરનાર રામ જેઠમલાણી મોદીથી નારાજ હોવાનું કારણ મોદીએ લોકસભા ચૂંટણી વખતે જનતાને જે વચનો આપ્યાં હતા તે પૂરા નથી કર્યા.
નિતીશ કુમારને કર્યું સમર્થન
જેઠમલાણીએ કહ્યું કે હવે તેમણે જો વોટ આપવાનો હશે તો તેઓ બીજેપી અને મોદીને બહાર કરવા માટે નિતીશ કુમારને વોટ કરશે. કેન્દ્ર સરકાર કાળાધન મુદ્દે ગંભીરતાથી નથી વિચારી રહી અને એટલે હવે તેઓ JDUની સાથે મળીને કાળાધનને ચૂંટણી મુદ્દો બનાવવા ઇચ્છે છે.
વાત કઇંક અલગ છે
પરંતુ ભાજપને નિકટતાથી જાણનારા લોકોનું કહેવુ છેકે માત્ર કાળાધનના મામલે રામજેઠમલાણી મોદી અને જેટલીથી નારાજ ન થઇ શકે. ભાજપમાંથી બહાર કાઢવામાં આવેલા જેઠમલાણીના ગુસ્સાનું કારણ અન્ય કોઇ ગંભીર મુદ્દો હોઇ શકે છે. જેમકે તેમને લાગતુ હતુ કે મોદીના આવ્યા બાદ પક્ષમાં તેમની વાપસી થશે, પણ તેવુ થયું નહિં. અને એટલે તેઓ પોતાનો ગુસ્સો આ અંદાજમાં કાઢી રહ્યાં છે.