'સુશાસન દિવસ' પ્રસંગે PM મોદીએ વારાણસી પહોંચી કાર્યોની સમીક્ષા આરંભી
વારાણસી, 25 ડિસેમ્બર : આજે વડાપ્રધાન મોદી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસની ઉજવણીને સુશાસન દિવસ તરીકે ઉજવવા વારાણસી પહોંચી ચૂક્યા છે. આજે તેઓ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ યોજનાઓનું ઉદ્દઘાટન કરશે.
વડાપ્રધાન મોદીએ વહેલી સવારે જ વારાણસી પહોંચીને અસ્સી ઘાટની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સફાઈ કાર્યોની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરના રોજ વારાણસી આવેલા મોદીએ અસ્સી ઘાટ પર સ્વચ્છ ભારત ઝુંબેશ અંતર્ગત સફાઈ અભિયાનનો આરંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ સવારે અહીં સંતો સાથે મળીને ગંગા નદીની પૂજા કરી હતી. તેઓ આજે બનારસ હિન્દુ યુનિવર્સિટીની મુલાકાત લેશે. અહીં તેઓ યુનિવર્સિટીમાં મદન મોહન માલવીયના નામથી શરૂ થનારા નવા કેન્દ્રનું ખાદ્ય મહૂર્ત કરશે.
આજે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને સ્વર્ગસ્થ પંડિત મદન મોહન માલવીયનો જન્મ દિવસ છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે જ ટ્વીટર પર અટલજીને જન્મ દિવસે શુભેચ્છા પાઠવી અને માલવીયને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.