સૈફી મસ્જિદમાં પીએમ મોદી, ‘વોહરા સમાજની રાષ્ટ્રભક્તિ દેશ માટે ઉદાહરણરૂપ'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્દોરમાં દાઉદી વોહરા સમાજના પ્રમુખ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્દોરમાં દાઉદી વોહરા સમાજના પ્રમુખ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાથે મુલાકાત કરી. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા. સૈફી મસ્જિદમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે વોહરા સમાજની રાષ્ટ્રભક્તિ દેશ માટે ઉદાહરણરૂપ છે. તેમણે ગુજરાતનો ઉલ્લેખ પણ કર્યો અને કહ્યુ કે વોહરા સમાજે હંમેશા તેમનો સાથ આપ્યો છે.
‘ઈમામ હુસેન અમન અને ઈન્સાફ માટે શહીદ થયા'
પીએમ મોદીએ કહ્યુ, ‘મને જણાવવામાં આવ્યુ છે કે ટેકનોલોજીના માધ્યમથી દેશ અને દુનિયાના અલગ અલગ સેન્ટર્સથી પણ સમાજના લોકો જોડાયા છે. તમને બધાને હું અભિનંદન પાઠવુ છુ. ઈમામ હુસેનના પવિત્ર સંદેશને તમે તમારા જીવનમાં ઉતાર્યો છે અને દુનિયા સુધી તેનો સંદેશ પહોંચાડ્યો છે. ઈમામ હુસેન અમન અને ઈન્સાફ માટે શહીદ થઈ ગયા હતા. તેમણે અન્યાય, અહંકાર વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.'
આ પણ વાંચોઃચંદ્રશેખર કેવી રીતે બન્યો ભીમ આર્મીનો ‘રાવણ', જાણો દલિત નેતા બનવાની કહાની
‘આપણે સમગ્ર વિશ્વને એક પરિવાર માનનારા'
વોહરા સમાજના લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે ઈમામ હુસેનની આ શીખ જેટલી મહત્વપૂર્ણ હતી તેનાથી વધુ આજની દુનિયા માટે મહત્વની છે. તેમણે કહ્યુ કે આપણે સમગ્ર વિશ્વને એક પરિવાર માનનારા, સહુને સાથે લઈને ચાલવાની પરંપરાને માનનારા લોકો છીએ. આપણા સમાજની, આપણે વારસાની આ જ શક્તિ છે જે આપણને દુનિયાના બીજા દેશો અલગ પાડે છે. આપણને આપણા ભૂતકાળ પર ગર્વ છે, વર્તમાન પર વિશ્વાસ છે અને ઉજ્વળ ભવિષ્યનો આત્મવિશ્વાસ છે.
‘તમારુ પોતાનાપણુ મને અહીં ખેંચી લાવ્યુ'
તેમણે કહ્યુ કે ગુજરાતનું કદાચ જ કોઈ એવુ ગામ હોય જ્યાં વોહરા વેપારી ના મળે. પીએમ મોદીએ કહ્યુ, ‘હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે ડગલેને પગલે વોહરા સમાજે સાથ આપ્યો. તમારુ આ પોતાનાપણુ જ મને આજે અહીં ખેંચી લાવ્યુ છે.' તેમણે ઈન્દોરની સ્વચ્છતા વિશે વાત કરતા કહ્યુ કે આજે જે શહેર અસ્તિત્વમાં છે તે સ્વચ્છતાના આંદોલનનું અગ્રણી છે. ઈન્દોર નિરંતર સ્વચ્છતાના સ્કેલ પર હંમેશાથી દેશમા પહેલા નંબર પર છે. તેમણે કહ્યુ કે ઈન્દોર જ નહિ ભોપાલે પણ આ વખતે કમાલ કરી છે.
આ પણ વાંચોઃHindi Diwas 2018: હિંદી દિવસ મનાવવાની જરૂર કેમ પડી?