બંસલ અને અશ્વિનીની ગિલ્લી ઉડી, હવે PM પર નિશાન?
આ દરમિયાન રેલવે મંત્રી અને કાયદા મંત્રીની ખાલી પડેલી જગ્યાઓ માટે હવે અનેક નામો બહાર આવી રહ્યા છે. બંને મંત્રીઓના રાજીનામા સાથે ભાજપ પણ વધારે આક્રમક રીતે આ મુદ્દા અંગે વાત કરી રહ્યું છે. ભાજપે સીધા જ શબ્દોમાં પીએમ મનમોહન સિંહનું રાજીનામુ માંગતા જણાવ્યું કે જ્યારે એ સ્પષ્ટ થઇ ગયું છે કે કાયદા મંત્રીએ વડાપ્રધાનને બચાવવા માટે સીબીઆઇનો રિપોર્ટ બદલાવ્યો હતો, ત્યારે હવે તેમને પદ પર રહેવાનો નૈતિક અધિકાર નથી.
કોંગ્રેસના બંને મંત્રીઓએ શુક્રવારે રાત્રે એક પછી એક રાજીનામા આપી દીધા હતા. આ અંગે માનવામાં આવે છે કે કોંગ્રેસ વર્ષ 2014ની ચૂંટણીઓ આવે એ પહેલા જનતાને પોતે સ્વચ્છ છબીવાળી પાર્ટી હોવાનો સંદેશ આપવા માંગે છે. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે હવે સરકારમાં મનમોહન સિંહ કરતા રાહુલ ગાંધીનું વધારે ચાલે છે.
હવે નવા રેલવે મંત્રી માટે કર્ણાટકમાં સીએમ બનવાનું ચૂકી ગયેલા મલિક્કાર્જુન ખડગેનું નામ સૌથી આગલ છે. જ્યારે નવા કાયદા પ્રધાન તરીકે કપિલ સિબ્બલ, મનીષ તિવારી અને વીરપ્પા મોઇલીના નામો સૌથી વધારે ચર્ચામાં છે. હવે જોવાનું એ રહે છે કે રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી કોના ઉપર સૌથી વધારે વિશ્વાસ ધરાવે છે.
આ અંગે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું કે "હવે મનમોહન સિંહનો વડાપ્રધાન પદે ચાલુ રહેવાનો કોઇ અર્થ કે તર્ક નથી. વડાપ્રધાનને બચાવી રહેલા કાયદા પ્રધાનને મંત્રી પદેથી હટાવ્યા બાદ પ્રક્રિયા આગળ વધવી જોઇએ. આગળ હવે વડાપ્રધાને ચોક્કસપણે રાજીનામુ આપી દેવું જોઇએ. રેલવે પ્રધાન અને કાયદા પ્રધાનના રાજીનામા સ્વીકારવાનો નિર્ણય ખૂબ મોડા કરવામાં આવ્યો હતો. અમારી માંગણી નહીં માનીને કોંગ્રેસે સંસદનો સમય બરબાદ કર્યો છે."