જોધપુર પોલીસે આસારામ સામે 1300 પાનાની ચાર્જશીટ દાખલ કરી
જોધપુર, 6 નવેમ્બર : સગીરાના શારીરિક શોષણના કેસમાં જેલમાં બંધ આસારામની ન્યાયિક કસ્ટડી આજે પૂરી થતા તેમને જોધપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આસારામ સાથે આ કેસમાં આરોપી એવા પૂર્વ સેવાદાર અને છિંદવાડા હોસ્ટેલની વોર્ડન શિલ્પીને પણ કોર્ટમાં રજૂ કરાઈ છે.
જોધપુર પોલીસે આ કેસમાં આસારામ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં આસારામ સહિત પાંચને આરોપી બનાવાયા છે. 1300 પાનાની આ ચાર્જશીટમાં પોલીસે 140 લોકોને સાક્ષી બનાવ્યા છે. આસારામે સગીરાનું યૌન શોષણ કર્યું એટલું જ નહીં પણ સગીરાને એક કાવતરા અંતર્ગત આસારામની કુટિરમાં મોકલવામાં આવી હતી તેવો આરોપ પોલીસે મૂક્યો છે.
ચાર્જશીટમાં આસારામ વિરુદ્ધ કેટલાક ઓડિયો અને વીડિયો પુરાવાઓ ઉપરાંત પૂર્વ સાધકોના નિવેદનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આસારામની ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અસ્કામતોનો પણ ઉલ્લેખ કરાયો છે. આ અગાઉ 24 ઓક્ટોબરના રોજ યૌન શોષણ કેસમાં આસારામ અને તેના અનુયાયીને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 6 નવેમ્બર સુધી વધારી દીધી હતી.
જોધપુર પોલીસે સગીરા સાથેના દુષ્કર્મના સેમાં છાત્રાલયના નિર્દેશક શરદ, વોર્ડન શિલ્પી ઉર્ફે સંચિતા ગુપ્તા, સેવાદાર અને રસોઇયા પ્રકાશના નામ ચાર્જશીટમાં સામેલ કર્યા છે. આ કેસમાં આસારામને મુખ્ય આરોપી જ્યારે અન્યને કાવતરામાં સામેલ ગણાયા છે. આઇપીસી અને જેજે એક્ટ તેમજ પોક્સો એક્ટ કાયદા અંતર્ગત તેમની સામે ગંભીર આરોપો મૂકાયા છે. આસારામ વિરુદ્ધના આ આરોપો સાબિત થયા તો તેમને દસ વર્ષથી માંડીને આજીવન કેદની સજા થઈ શકે છે.