રાફેલ ડીલમાં અનિલ અંબાણીને મળ્યું અધધધ 21 હજાર કરોડનું કમિશન
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ગંભીર આરોપો લગાવતા રાફેલ ડીલને મોટું કૌભાંડ ગણાવ્યું.
નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો પેદા થયો છે. દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ગંભીર આરોપો લગાવતા રાફેલ ડીલને મોટું કૌભાંડ ગણાવ્યું. પ્રશાંત ભૂષણે કહ્યું કે રાફેલ ડીલ મસમોટું કૌભાંડ છે જેની કલ્પના પણ ન કરી શકીએ. સાથે જ એમણે આરોપ લગાવ્યો કે ઑફસેટ કરાર દ્વારા અનિલ અંબાણીના રિલાયન્સ સમૂહને 21,000 કરોડ રૂપિયાનું કમિશન મળ્યું છે. પ્રશાંત ભૂષણે રાફેલ ડીલ સાથે જોડાયેલ કથિત દલાલીની સરખામણી 1980ના દશકામાં થયેલ બોફોર્સ ડીલ સાથે કરી.
રાફેલ ડીલમાં 30 ટકા કમિશન મળ્યું
રાફેલ ડીલને લઈને પ્રશાંત ભૂષણે કહ્યું કે આ એક એવું કૌભાંડ છે જેની કલ્પના સુદ્ધાં ન કરી શકીએ. પ્રશાંત ભૂષણે કહ્યું કે બોફોર્સ 64 કરોડ રૂપિયાનું કૌભાંડ હતું જેમાં ચાર ટકા કમિશન આપવામાં આવ્યું હતું. પરંતુ રાફેલ કૌભાંડમાં કમિશન ઓછામાં ઓછું 30 ટકા છે. પ્રશાંત ભૂષણે આરોપ લગાવતા કહ્યું કે અનિલ અંબાણીને આપવામાં આવેલ 21,000 કરોડ રૂપિયા કમિશનના છે.
જેપીસીથી રાફેલ ડીલની તપાસની માંગ
પ્રશાંત ભૂષણે સવાલ ઉઠાવતા કહ્યું કે વાયુસેનાને 126 વિમાનોની જરૂરત હતી તો તેમણે પોતાની જરૂરીયાતો કેવી રીતે ઘટાડી દીધી. સાથે જ એમણે ગોપનીયતા સંબંધી અપરાધના નામ પર જાણકારી આપવાની ના પાડવા બાબતે પણ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાફેલ ડીલની સંયુક્ત સંસદીય સમિતિથી તપાસ કરાવવાની વિપક્ષની માંગણી બિલકુલ યોગ્ય છે.
અંબાણી ગ્રુપને ફાયદો કરાવવાનો આરોપ
અગાઉ અનિલ અંબાણીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. અનિલ અંબાણીએ પત્ર લખી રાહુલ ગાંધીને જવાબ આપ્યો હતો. જણાવી દઈએ કે રાફેલ ડીલને લઈને કોંગ્રેસ સતત ભાજપ અને પીએમ મોદી પર આરોપો લગાવી રહી છે કે આ ડીલ દ્વારા અંબાણી સમૂહને ફાયદો થશે. આ પણ વાંચો-રાફેલ ડીલઃ અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીએ કોંગ્રેસ નેતાને મોકલી નોટિસ