Republic Day 2023 : પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રને સંબોધન, જાણો મહત્વના મુદ્દા
પ્રજાસત્તાક દિવસની પુર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ 74માં પ્રજાસત્તાક દિવસની દેશ અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને શુભેચ્છાઓ પાઠવી હતી.
નવી દિલ્હી : 26 જાન્યુઆરીએ ભારત 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પ્રજાસત્તાક દિવસની પુર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ 74માં પ્રજાસત્તાક દિવસની દેશ અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે તમામ ભારતીયોને એક રાષ્ટ્ર તરીકે સાથે મળીને જે પ્રાપ્ત કર્યું છે તેની ઉજવણી કરવાની વાત કરી હતી.
રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં કહ્યું કે, ભારત એક ગરીબ અને અભણ રાષ્ટ્રમાંથી વિશ્વ મંચ પર આત્મવિશ્વાસ ધરાવતું રાષ્ટ્ર બન્યુ છે. બંધારણ ઘડનારાઓના સામૂહિક શાણપણના માર્ગદર્શન વિના આ પ્રગતિ શક્ય ન બની હોત. ગયા વર્ષે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની.
તેમણે આગળ જણાવ્યુ કે, ભારતે આ ઉપલબ્ધિ આર્થિક અનિશ્ચિતતાની વૈશ્વિક પૃષ્ઠભૂમિ સામે હાંસલ કરી છે. સક્ષમ નેતૃત્વ અને અસરકારક સંઘર્ષની મદદથી આપણે ટૂંક સમયમાં મંદીમાંથી બહાર આવ્યા અને વિકાસની સફર ફરી શરૂ કરી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 21મી સદીના પડકારો માટે તૈયાર કરે છે અને આપણી સંસ્કૃતિ પર આધારિત જ્ઞાનને સમકાલીન જીવન સાથે સુસંગત બનાવે છે.
આજે આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે સિદ્ધિઓ પર આપણે ગર્વ અનુભવી શકીએ છીએ. સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત કેટલાક અગ્રણી દેશોમાંથી એક છે. મહિલા સશક્તિકરણ અને મહિલા અને પુરૂષો વચ્ચે સમાનતા હવે માત્ર સૂત્રો નથી. મારા મનમાં કોઈ શંકા નથી કે આવતીકાલના ભારતને ઘડવામાં મહિલાઓ સૌથી વધુ યોગદાન આપશે.
સશક્તિકરણનો આ દ્રષ્ટિકોણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિત નબળા વર્ગો માટે સરકારના કાર્યને માર્ગદર્શન આપે છે. આપણો ઉદ્દેશ્ય ફક્ત તે લોકોના જીવનમાં અવરોધો દૂર કરવાનો અને તેમને વિકાસ કરવામાં મદદ કરવાનો નથી પરંતુ તે સમુદાયો પાસેથી શીખવાનો પણ છે.
આદિવાસી સમુદાયો પાસે પર્યાવરણના રક્ષણથી લઈને સમાજને વધુ સુમેળભર્યો બનાવવા સુધીના ઘણા ક્ષેત્રોના પાઠ છે. આ વર્ષે ભારત G-20 દેશોના સમૂહની અધ્યક્ષતા કરી રહ્યું છે. સાર્વત્રિક ભાઈચારાના આપણા આદર્શને અનુરૂપ આપણે બધા માટે શાંતિ અને સમૃદ્ધિના પક્ષધર છીએ. G-20નું અધ્યક્ષપદ ભારતને વધુ સારી દુનિયાના નિર્માણમાં યોગદાન આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
રાષ્ટ્રપતિએ આગળ જણાવ્યુ કે, મારા મતે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ એ એવા પડકારો છે જેને તાકીદે સામનો કરવાની જરૂર છે. વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે અને આબોહવા પરિવર્તનના સ્વરૂપો દેખાઈ રહ્યા છે. વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા માટે આપણે પ્રાચીન પરંપરાઓને નવા દૃષ્ટિકોણથી જોવી પડશે. આપણે આપણી મૂળભૂત પ્રાથમિકતાઓ પર પણ પુનર્વિચાર કરવો પડશે. પરંપરાગત જીવન-મૂલ્યોના વૈજ્ઞાનિક પરિમાણોને સમજવા પડશે. જો આપણે ઈચ્છીએ કે આપણા બાળકો આ પૃથ્વી પર સુખી જીવન જીવે તો આપણે આપણી જીવનશૈલી બદલવાની જરૂર છે.