મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PMએ આપી શ્રદ્ધાજંલિ
મંગળવારે, મહાત્મા ગાંધીને 70મી પુણ્યતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દિલ્હી ખાતે તેમને શ્રદ્ધાજંલિ આપી.
મંગળવારે, ગુજરાતના લાડીલા અને યુગપુરુષ તેવા મહાત્મા ગાંધીની 70મી પુણ્યતિથિ છે. સત્ય અને અહિંસાનો સંદેશ દુનિયામાં ફેલાવનાર અને ભારતને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા તેવા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને યાદ કરી તેમને શ્રદ્ઘાજંલિ અર્પી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે પૂજ્ય બાપુની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ. સાથે જ તેમણે ટ્વિટમાં લખ્યું કે હું તે તમામ શહીદોને નમન કરું છું કે જેણે આપણા દેશની સેવા માટે પોતાનું બલિદાન આપ્યું. આપણે દેશના પ્રતિ તેમના સાહસ અને સમર્પણને હંમેશા યાદ રાખીશું. નોંધનીય છે કે આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દિલ્હી ખાતે રાજઘાટ પર જઇને મહાત્મા ગાંધીને પૃષ્પાજંલિ અર્પી યાદ કર્યા હતા.
નોંધનીય છે કે આજે અમદાવાદમાં પણ સાબરમતી આશ્રમ ખાતે બાપુની પૃણ્યતિથિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સાબરમતી આશ્રમ હંમેશા ગાંધીજીના મનની નજીક હતો. આ વખતની ગણતંત્ર પરેડમાં પણ ગાંધીના સાબરમતી આશ્રમ આધારીત ઝાંખી રજૂ કરી તેમને સન્માન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમને જણાવી દઇએ કે 30 જાન્યુઆરી 1948માં મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ ગોળી વાગ્યા પછી મહાત્મા ગાંધી હે રામના છેલ્લા શબ્દો બોલીને આ દુનિયાથી ચીરકાળ માટે વિદાય લઇ ચૂક્યા હતા. જેના કારણે સમગ્ર વિશ્વ શોકમય બન્યું હતું.