J&K: અથડામણમાં આતંકી મસૂર અઝહરનો ભત્રીજો ઠાર મરાયો
જમ્મુ-કાશ્મીરના પુલવામા એનકાઉન્ટરમાં ત્રણ આંતકીઓ ઠાર મરાયા હતા.તેમાં એક હતો તલ્હા રાશિદ, જે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો ભત્રીજો હતો. આ અંગે વધુ વાંચો અહીં.
સોમવારે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના પુલવામા એનકાઉન્ટરમાં ત્રણ આંતકીઓ ઠાર મરાયા હતા. આ આતંકીઓમાંનો એક હતો તલ્હા રાશિદ, જે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો ભત્રીજો હતો. સેના અને પોલીસ દ્વારા કરવામાં આવેલ જોઇન્ટ પત્રકાર પરિષદમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી. ઠાર મરાયેલ આતંકીઓમાંથી બે પાકિસ્તાની હતા, જ્યારે એક કાશ્મીરનો રહેવાસી હતો. આ અથડામણમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો અને સાથે જ એક સ્થાનિક નાગરિક ઇજાગ્રસ્ત થયો હોવાના પણ સમાચાર છે. સુરક્ષાદળોને આ આતંકીઓ પાસેથી અમેરિકામાં બનેલ ખતરનાક M4 કાર્બાઇન પણ હાથ લાગી છે. આ રાયફલ અંગેની વાતો થોડા દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.
પત્રકાર પરિષદમાં સુરક્ષાદળોએ જણાવ્યું કે, પાકિસ્તાની સેના આ હથિયારનો ઉપયોગ કરે છે અને આ રાયફલ ત્યાંથી જ આતંકીઓના હાથમાં આવી હોય એવી પૂરી શક્યતા છે. કહેવાઇ રહ્યું છે કે, આ રાયફલ સ્થાનિક આતંકી સમીર ઉર્ફે ટાઇગર પાસે હતી. જૈશના પ્રવક્તા અનુસાર, મૃત્યુ પામેલા અન્ય બે આતંકીઓના નામ મોહમ્મદભાઈ અને વસીમ હતા. મુહમ્મદભાઈ જૈશના ડિવિઝનલ કમાન્ડર હતા, જેમની પાસેથી AK-46 અને પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં સેનાના પ્રમુખે કહ્યું હતું કે, અમને આતંકવાદીઓના બેકગ્રાઉન્ડ સાથે કોઇ લેવા-દેવા નથી, અમારું લક્ષ્ય આતંકવાદને સમાપ્ત કરવાનું છે. તો મુનીર ખાને અહીં કહ્યું હતું કે, પહેલીવાર તેમણે આતંકીઓ પાકિસ્તાનના હોવાની વાત માની છે. આથી અમારી માંગ છે કે, તેઓ આતંકીની ડેડ બોડી ક્લેમ કરે.