પંજાબ વિધાનસભા ચૂંટણીઃ 78% મતદાન, શું બાદલ સરકારની વિરુદ્ધ છે લોકો?
પંજાબમાં થયેલું જંગી મતદાન બાદલ સરકાર માટે જોખમરૂપ બની શકે છે, જેનો ફાયદો આપ અને કોંગ્રેસ ઉઠાવી શકે છે.
શનિવારે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે જંગી મતદાન થયું. રાજ્યના 78.62 ટકા લોકોએ મતદાન કર્યું. વર્ષ 1966માં અલગ રાજ્ય બન્યા બાદ આ વર્ષના મતદાને જૂના તમામ રેકોર્ડ તોડ્યા છે. આ વખતે પંજાબમાં હરીફાઇ ખૂબ તીવ્ર છે, આ પહેલી જ વાર પંજાબમાં ત્રિકોણિય લડાઇ થઇ રહી છે. ભાજપ-શિરોમણી અકાલી દળ વિરુદ્ધ કોંગ્રેસ ની લડાઇમાં આમ આદમી પાર્ટીને લીધે રસપ્રદ વળાંક આવ્યો છે.
આ જંગી મતદાન ઘણું કહી જાય છે
રાજકારણીય વિશ્લેષકોનું માનીએ તો આ વખતનું રેકોર્ડતોડ મતદાન બાદલ માટે મુસીબત અને કોંગ્રેસ-આપ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે, કારણ કે રાજ્યના માલવા ક્ષેત્રમાંથી 80 ટકા મતદાન થયું હોવાની ખબર આવી છે. આ એ જ વિસ્તાર છે, જ્યાંના લોકો હાલની રાજ્ય સરકારથી નારાજ છે અને તેમની નારાજગી પાછળના કારણો ઘણા છે.
અહીં વાંચો - મેરઠમાં મોદીએ કહ્યું અમારી લડાઇ SCAMની વિરુદ્ધ છે
માલવાના લોકો છે સરકારથી નારાજ
સૂત્રો અનુસાર માલવામાં હાલમાં જ ગુરૂગ્રંથ સાહિબના અપમાનની ઘટના ઘટી હતી અને અહીંના ખેડૂતો કપાસનો પાક વેડફાઇ જવાને કારણે નારાજ હતા. આ વિસ્તારમાંથી જંગી મતદાન થયું છે, જે હાલની સરકારની વિરુદ્ધ ગયુ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આ વિસ્તારમાંથી આપ પાર્ટીને સારા મત મળ્યા હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, માલવાના 11માંથી 9 જિલ્લાઓના મતદાતાઓની સંખ્યા રેકોર્ડના 80 ટકાની પાર ગઇ છે.
ફરીદકોટથી પણ બાદલ સરકારની વિદાય
તો બીજી બાજુ સત્તારૂઢ બાદલ પરિવારના મતક્ષેત્ર - મુક્તસર, ભટિંડા અને ફજિલકામાં પણ રેકોર્ડબ્રેક મતદાન થયું છે, જ્યાંથી મતદાન બાદલ સરકારની તરફેણમાં જ થયું હોવાની આશા છે. પરંતુ ફરીદકોટમાં હજુ પણ લોકો ગુરૂગ્રંથ સાહિબના અપમાનને કારણે બાદલ પરિવાર પર વરસી રહ્યાં છે, અહીંથી પણ 80 ટકા મતદાન થયું હોવાની ખબર છે, જે બાદલ સરકારની વિરુદ્ધ જઇ શકે છે.
લોકો બાદલ સરકારની વિરુદ્ધ, કોંગ્રેસ-આપ ને ફાયદો
કહેવાઇ રહ્યું છે કે, પંજાબના અમુક વિસ્તારોમાં બાદલ સરકાર વિરુદ્ધ જે લહેર ચાલી છે તેનો ફાયદો કોંગ્રેસ અને આપ ઉઠાવી શકે છે, માટે આ બંન્ને પાર્ટીઓ પાસેથી સારા પ્રદર્શનની આશા છે. પાંચ નદીવાળા રાજ્ય પંજાબની પ્રજાના મનમાં શું ચાલી રહ્યું છે એ તો મત ગણતરીના પરિણામ પછી જ ખબર પડશે. આ વર્ષના રોકોર્ડતોડ મતદાન પરથી એક વાત તો સ્પષ્ટ છે કે લોકો સરકાર અને પોતાના હક પ્રત્યે વધુ જાગૃત થયા છે.