PNB Scam : બેંકના MD સુનીલ મહેતાએ નિરવ મોદી મામલે કરી આ સ્પષ્ટતા
પંજાબ નેશનલ બેંકના એમડી સુનીલ મહેતાએ પ્રેસ વાર્તા કરીને આ કૌભાંડ અંગે અને નિરવ મોદી અંગે અનેક મહત્વના ખુલાસા કર્યા છે. જાણો આ મામલે વધુ વિગતો અહીં.
પંજાબ નેશનલ બેંકમાં થયેલા 11,500 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે બેંકના મેનેજર ડાયરેક્ટર સુનીલ મહેલાએ દિલ્હીમાં એક પ્રેસવાર્તાને સંબોધી હતી. જેમાં તેમણે આ વિષે ચર્ચા કરતા કહ્યું હતું કે આ સમગ્ર મુદ્દો એક સંવેદનશીલ મુદ્દો છે. જે પર અમે હાલ કાર્યવાહી કરી રહ્યા છીએ. સાથે જ તેમણે કહ્યું કે અમે બેંકોના હિતની રક્ષા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સાથે જ અમારા કર્મચારીઓ પણ હાલ આ તપાસમાં છે. વધુમાં નિરવ મોદી દ્વારા બેંકના પૈસા પરત કરવા મામલે પણ સુનિલ મહેતાએ સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે હા તે પૈસા પાછા આપવા માટે આવ્યા હતા પણ તેમની જોડે આ અંગે કોઇ ઠોસ પ્લાન નહતો. તેવામાં તેમને સમય આપવામાં નથી આવ્યો. મહેતાએ કહ્યું કે અમે કોઇ પણ ખોટા કામને હવે આગળ વધારવા નહીં દઇએ. અમે જ આ કૌભાંડને સરફેસ પર લઇને આવ્યા છીએ. આ અંગે અમને પહેલી વાર જાણકારી 3 જાન્યુઆરીના રોજ મળી હતી.
અમને જાણ થઇ હતી કે અમારા બે કર્મચારીઓ કેટલાક અનઅધિકૃત લેવડ દેવડ સાથે જોડાયેલા છે. બેંકે અમારા સ્ટાફ સદસ્યો વિરુદ્ધ અપરાધિક કાર્યવાહી કરવાની જાણકારી આપી હતી. મહેતાએ કહ્યું કે પીએનબી હાલ ભલે મોટા કૌભાંડનો ભોગ બની હોય પણ તેની પાસે આનાથી બહાર આવવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે હાલ ફરિયાદ બાદ વિવિધ જગ્યાએ દરોડા પડી રહ્યા છે અને આ તપાસ માટે દસ્તાવેજો અને રેકોર્ડ જપ્ત કરવામાં આવી રહ્યા છે. બેંક દ્વારા તેના વિત્તીય હિતોની રક્ષા માટે પગલાં લેવામાં આવ્યા છે. મહેતાએ વધુમાં કહ્યું કે ભારત સરકાર આ સમગ્ર મામલે પોતાની નજર બનાઇને બેઠું છે. વળી અપરાધિઓને પકડવામાં પણ અમને તેમની તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા નિરવ મોદીએ બેંકના નાણાં પરત કરવાની વાત ઉચ્ચારી હતી. જે અંગે બેંક તરફથી પણ સ્પષ્ટતા આપવામાં આવી છે. બીજી તરફ આ કૌભાંડ બાદ આ મામલે રાજનીતિ પર ગરમાઇ છે.