ભારતીય સેનાએ લીધો અમરનાથ યાત્રીઓ પર થયેલ હુમલાનો બદલો
જમ્મુ-કાશ્મીરના કાઝીકુંડ એન્કાઉન્ટરમાં સોમવારે ભારતીય સેનાએ અમરનાથ યાત્રા પર થયેલ હુમલાનો બદલો લીધો છે.
જમ્મુ-કાશ્મીરના કાઝીકુંડ એન્કાઉન્ટરમાં સોમવારે ભારતીય સેનાએ અમરનાથ યાત્રા પર થયેલ હુમલાનો બદલો લીધો છે. જમ્મુ કાશ્મીર પોલીસ અનુસાર, તેમણે આ વર્ષે અમરનાથ યાત્રીઓ પર જે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, તેમને ઠાર માર્યા છે. એમાંથી બે આતંકીઓના શબ સોમવારે જ મળી આવ્યા હતા અને યાવર નામના ત્રીજા આતંકીનું શબ મંગળવારે સવારે મળી આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈદ્યએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે તથા એક જીવતો પકડાયો છે.
ડીજીપીએ ટ્વીટ કર્યું હતું કે, અથડામણવાળા સ્થળેથી મંગળવારે સવારે ત્રીજા આતંકીનું શબ પણ મળી આવ્યું છે, ચોથો આતંકી ઇજાગ્રસ્ત હાલતમાં જીવતો પકડાયો છે, શાબાશ જવાનો! એ પછી ડીજીપીએ બીજું ટ્વીટ કર્યું હતું, અબુ ઇસ્માઇલના ખાત્મા બાદ, હવે આ ત્રણ આતંકી અબુ માવિયા, ફુરકાન અને યાવર, જેમણે અમરનાથ યાત્રીઓ પર હુમલો કર્યો હતો, તેમને ઠાર માર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે જુલાઇમાં અમરનાથ યાત્રીઓના એક જૂથ પર આતંકી હુમલો થયો હતો, જેમાં 7 શ્રદ્ધાળુઓનું મૃત્યુ થયું હતું, જ્યારે કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા. અથડામણમાં મૃત્યુ પામેલ આતંકી યાવર લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલો હતો. આતંકીઓના ખાત્મા બાદ ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો મળી આવ્યા છે. આ અથડામણમાં એક ભારતીય જવાન શહીદ થયો છે અને કેટલાક ઘાયલ થયા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.