રાહુલની ચીન યાત્રા પર ભાજપે ઉઠાવ્યા સવાલ, રાહુલને કહ્યા 'ચાઈનીઝ ગાંધી'
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાશ માનસરોવરની યાત્રા માટે ચીન ગયા છે. રાહુલ ગાંધીની ચીન યાત્રા પર ભાજપે પ્રેસ કોન્ફરન્સ યોજી શાબ્દિક પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાશ માનસરોવરની યાત્રા માટે ચીન ગયા છે. રાહુલ ગાંધીની ચીન યાત્રા પર ભાજપે પ્રેસ કોન્ફરન્સ યોજી શાબ્દિક પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે તેઓ ચીનના પ્રવક્તાની જેમ બોલે છે. રાહુલ ગાંધીને માત્ર ચીન પર વિશ્વાસ છે. ભાજપે પૂછ્યું કે, ડોકલામ વિવાદ સમયે રાહુલ ગાંધીએ ચીનમાં કોની-કોની મુલાકાત લીધી હતી તેનો ખુલાસો કરે. એટલું જ નહીં સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને ચાઈનીઝ ગાંધી સુધી કહી દીધા.
રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
સંબિત પાત્રાએ કહ્યું કે, ડોકલામ વિવાસ સમયે રાહુલ ગાંધીએ રાતના અંધારામાં પરિવાર સાથે ચીનના રાજદૂતની મુલાકાત કરી હતી પરંતુ ભારત સરકારને વિશ્વાસમાં નહોતી લીધી. કોંગ્રેસ પાર્ટીએ પહેલા આ મુલાકાતને નકારી કાઢી હતી પરંતુ બાદમાં એમણે સ્વીકાર કરવો પડ્યો હતો. જર્મનીમાં જ્યારે રાહુલ ગાંધીને ડોકલામ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે 'મને આ વિશે બહુ ખબર નથી.' જ્યારે તમને ખબર નથી તો તમે ડોલામને 'ધોખાલામ' કેવી રીતે કહ્યું?
ચીની પ્રવક્તાની જેમ વ્યવહાર કરે છે રાહુલ
સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી દરેક જગ્યાએ ચીનનો પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારતીય પ્રવક્તાને બદલે ચીની પ્રવક્તાની જેમ વ્યવહાર કેમ કરી રહ્યા છે? રાહુલ ગાંધીજી આજે તમે તમારા ફેવરિટ દેશ ચીન ગયા છો. અમે માત્ર એટલું જ જાણવા માગીએ છીએ કે ત્યાં તમે કોને-કોને મળશો? જણાવી દઈએ કે રાહુલ ગાંધીની આ ધાર્મિક યાત્રા 12 દિવસની હશે અને 12મી સપ્ટેમ્બરે તેઓ યાત્રા ખતમ કરીને ભારત પરત ફરશે.
ચીનમાં કોને મળશે રાહુલ?
સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, "કોઈની અંગત યાત્રા પર અમે ટિપ્પણી કરવા નથી માંગતા, પરંતુ ચીન અને રાહુલ ગાંધીના સંબંધ વિશે બધાને ખબર જ છે. અમે જાણવા માગીએ છીએ કે, રાહુલ ગાંધી એવું કેમ ઈચ્છતા હતા કે ચીનના એમ્બેસેડર એમને છોડવા જાય? નરેન્દ્ર મોદીએ ભારતમાં નોકરીની સ્થિતિ પર સંસદમાં કેટલાંય ભાષણો આપ્યાં પણ રાહુલને ખબર ન પડી પણ, ચીન 50 હજાર નોકરી આપે છે તો એ રાહુલને ખબર હોય છે. રાહુલ ભારતના દ્રષ્ટિકોણને સમજવા જ નથી માંગતા. તેઓ ચીનની જાહેરાત કરવામાં લાગ્યા છે." આ પણ વાંચો-RSS ના કાર્યક્રમમાં રાહુલ ગાંધી જશે કે નહિ, કોંગ્રેસે આપ્યો જવાબ